લખાણ પર જાઓ

પૃષ્ઠ:Maa Baap Thavu Aakru Che.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
મા બાપ થવું આકરું છે
 


આ અમીદૃષ્ટિ એટલે વધવાનો, ખીલવાનો ને વિકસવાનો એક અનિવાર્ય નિયમ. આ નિયમ જ્યાં ન પ્રવર્તે ત્યાં ખિલવણી બંધ પડે, સંકોચ થઇ જાય, શુષ્કતા ને મંદતા આવે, સડવું શરૂ થાય.

આ નિયમ આપણે આપણાં બાળકો અને આપણી બાબતમાં વિચારીએ.

બાળકો આપણાં ઘરોના રોપાઓ અગર ફૂલઝાડો છે; તેઓ આપણે તૈયાર કરેલા વાતાવરણમાં ને ખાતરપાનમાં મોટાં થઈ રહ્યાં છે; તે આપણી દૃષ્ટિ તળે જીવી રહ્યાં છે. આપણી દૃષ્ટિ જેવી કડવીમીઠી હશે તેવાં બાળકો થશે. માળી પોતાના જ બાગનાં ફૂલઝાડોના ક્યારાઓમાં ધબધબ પગ દઇને ચાલે, ગમે તેમ મરજી પ્રમાણે ચાલે, ફૂલ જોઇને હરખાય નહિ પણ ઠીક છે–થયાં છે એમ સમજે, તો એનો બાગ પાંગરે નહિ. આપણે બાળકોની વચ્ચે કેવળ તેમની હાજતો પરત્વે બેદરકાર રહીએ, તેમને જડસા જેમ ગમેતેમ હડદોલાવીએ કે ધક્કેલીએ, તેમની કૂણી કૂણી લાગણીઓનો વિચાર જ ન કરીએ, તેમને અભિમુખ ન રહેતાં આપણામાં જ પડ્યાં હોઇએ તો બાળકો ચીમળાશે. તેમને આપણી અમીદૃષ્ટિનું પોષણ નહિ મળે.

બાળકો ખૂબ નાજુક છે, નાનાં છે, છતાં તેઓ સૂક્ષ્મ સંસ્કારક્ષમ અને લાગણીગ્રાહી છે. તેએ આપણી રાજીખુશી- ખેફામરજી તુરત ઓળખે છે. તેઓ આપણને કડક જોઇને બિડાય છે, ને આપણને પ્રસન્ન જોઇને ઊઘડે છે.

જેના ઘરમાં માતા અને પિતા અધિકારના બળથી બધાં સાથે કામ લે છે અને બાળકો પણ તેના ભોગ થઇ પડે છે, ત્યાં બાળકો અમીદૃષ્ટિ વિહોણાં છે.