વહેમી મન વહેમ પડતાં ડરી જાય છે; અમંગળની ચિંતામાં ધ્રૂજી ઊઠે છે; ભયભીત થઈ પરસેવાથી નાહી જાય છે. ઘડીકમાં તો કલ્પનામાં તે કેટલું ય દુઃખ અનુભવી લે છે.
વહેમી એટલે માની લે તેવો; પ્રમાણ માગ્યા વિના ગમે તે વાત સ્વીકારે તેવો. વહેમીને વહેમ નાખવો જોઈએ. આપણે કહીએ : “જોજે, હનુમાનને હાર નહિ ચડાવે તો હનુમાન કોપશે.” “મેલડીને લાપશી નહિ માન તો મેલડી નડશે.” “એ તો ચૂલો ઠાર્યો નહોતો એટલે શીતળા રૂઠ્યાં અને તેથી દીકરાને શીતળા નીકળ્યાં.” વહેમી બધું સાચું માનશે ને કહેશે : “આ તો સાચી વાત.
વહેમી માણસ એટલે નિર્મળ તર્કબુદ્ધિનો અસ્વીકાર કરનારા માણસ “એમ શા માટે ? મારી ખાતરી કરાવી આપો તો જ હું માનું.” એવું વહેમી માણસ નથી પૂછતો.
વહેમી માણસ એટલે અશાસ્રીય મનવાળો માણસ. “ગમે તેમ કહો પણ મારે તો જાતે તપાસવું જ પડશે. ન સમજાય ત્યાં સુધી તટસ્થ રહેવું હું પસંદ કરીશ.” એમ વહેમી કદી નથી કહેતો. વહેમી તાતો તપાસ્યા વિના જાદુખેલો વગેરેમાં મંત્રતંત્ર ભાળે છે, જ્યારે વહેમમુક્ત જાણી શકે છે કે તે બધું દવા વગેરેથી કે યુક્તિપ્રયુક્તિથી કે હાથચાલાકીથી બને છે.
વહેમી મન એટલે અંધશ્રદ્ધાવાળું મન. એટલે જ તો વહેમી માણસ શાસ્ત્રવચનને અફર વચન માને છે; દેવો અને પરીઓની વાતોને સાચી ન માનનારને નાસ્તિક ગણે છે; ભૂતપ્રેતની વાતોનો બીજો ખુલાસો શોધવાની ના પાડે છે.
મોટે ભાગે આપણે વહેમનું જીવન જીવીએ છીએ. અત્યારના ધર્મનો મોટો ભાગ એક વહેમ છે. પાખંડી લોકો