એ તો ગૃહસ્થોનો મોંઘો મહેમાન છે. એની શુશ્રૂષા ન આવડે તો ગૃહસ્થાશ્રમ ઊંધો જ વળે.
લક્ષ્મી તો બાળકના કંકુ જેવા રાતા પગલે ચોંટેલી છે.
પ્રેમ તો એના પ્રફુલ્લ વદને છે.
શાંતિ ને ગંભીરતા એની મીઠી હાસ્યમધુરી નિદ્રામાં છે.
એના કાલાકાલા બોલમાં કવિતા વહે છે. એ દૈવી કવિતા આ માનવી-દુનિયામાં લાંબો વખત નથી રહેતી એ જ ખેદની વાત છે !
એની વાણીમાં કોઈએ વ્યાકરણના દોષો કાઢ્યાનું જાણ્યું છે ?
એની સાથે વાત કરવામાં તો મોટાંઓ પણ ખુશીથી, વ્યાકરણજ્ઞાનના કડક નિયમોનો પણ ત્યાગ સ્વીકારે છે; અને અવૈયાકરણી ભાષા બોલવા ઘણી વાર તો નિષ્ફળ પ્રયત્ન કરે છે.
વ્યાકરણબદ્ધ વાણી જ્યારથી બાળક બોલે છે ત્યારથી તેની વાણીની મીઠાશ ઘટે છે.
બાળક જેમને વહાલું ન લાગતું હોય તે માત્ર ઈશ્વરના દુશ્મન છે. અભાગિયા જ “આ તો ગંદું બાળક !” કહી તેની સામે જોતા નથી. બાળક તો તેના તરફ પણ લાંબા હાથ કરે છે.
શીદીભાઈને તો શીદકાં વહાલાં હોય જ; પ્રભુગામીને પણ શીદકાં વહાલાં હોય. ઘણાઓ બાળકોથી દૂર જ નાસે છે. આપણાથી તેમને પામર કેમ કહેવાય ?
બાળક માતાપિતાનો આત્મા છે.
બાળક ઘરનું ઘરેણું છે.
બાળક આંગણાની શોભા છે.