પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૯
વીર સાધ્વી જોન ઑફ આર્ક

ચઢાવી. વળી તેની ઉચ્ચસ્થિતિને અનુસરી ગૃહમંડળ નીમી આપ્યું. ત્યારપછી તેણે કહ્યું:–

“તમે રાજ્યને બચાવ્યું છે. તમે તમારી મરજીમાં આવે તે વસ્તુ માગો. હું ગમે તેમ કરીને તમારી ઈચ્છા પરિપૂર્ણ કરીશ.”

જોન પગે લાગી બોલી:–“મારા બાદશાહ ! મારા ઉપર તમારી આટલી બધી મહેરબાની છે તો હુકમ કરો કે, મારા ગરીબ ગામડા ઉપરના બધા કર માફ થાય.”

“જાઓ, તે માફ છે. પછી ? ”

“બસ.”

“બસ ? બીજુ કંઈ નહિ ?”

“નહિ, કંઈ નહિ. મને તાણ કરો નહિ. હું કંઈ નહિ માગું.”

રાજા મુંઝાયો , નિરાશ થયો. પછી તેણે જોનની નિઃસ્વાર્થતાની ઘણી પ્રશંસા કરી. અમારા ગામડાનો કર તેણે હમેશને માટે માફ કર્યો. રાજાની મરજી હતી કે જોન કંઈ બીજું પણ માગે તો ઠીક, પણ તેને જોન માટે એટલું માન હતું કે તેણે જોનની મરજી વિરુદ્ધ જરા પણ દબાણ કર્યું નહિં.

તમને યાદ હશે કે, અમે બાલ્યાવસ્થામાં મશ્કરીમાં ને મશ્કરીમાં રાજા ખુશી થાય તો તું શું માગે ? એવો જોનને પ્રશ્ન કર્યો હતો; અને “આપણા ગામના કર રાજા માફ કરે એવું હું માગું” એવો ઉત્તર પણ જોને તે સમયે આપ્યો હતો. જ્યારે જોન આ શબ્દો બોલી, ત્યારે તે અમે હસવામાંજ ગણી કાઢ્યું હતું, પણ આજે અમે જોનના મનની મોટાઈ સમજ્યા–તેના ઉચ્ચ હૃદયને આજે જાણ્યું.

જોને અમારા ગામનો કર સદાને માટે માફ કરાવ્યો. તે દિવસ પછી ત્રેસઠ વર્ષ ચાલી ગયાં છે. ડોમરેમીનાં આજુબાજુનાં ગામડાંઓનો કર ત્રેસઠ વખત લેવાયો છે, પણ કર ઉઘરાવનારા કોઇ વખત ડેમરેમીમાં આવ્યા નથી. હિસાબની ત્રેસઠ ચોપડીઓ ભરાઈ છે. કોઈ તે જોવા પણ ઈચ્છે. દરેક ગામના નામની નીચે તે ગામમાંથી કેટલો કર આવ્યો તે એક સ્થળ સિવાય બધે લખેલું છે. હું કહું છું તે સાચું છે, જ્યાં ડોમરેમીનું નામ છે ત્યાં તેના વેરાનો આંકડો નથી; પણ માત્ર ત્રણ જ શબ્દ લખ્યા છે, અને તે નીચે પ્રમાણેઃ—

ડોમરેમી

નહિઃ ઓર્લિયન્સની કુમારિકા.