પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“તું પ્રભુની પુત્રી છે, એમ તારા નાદો તને કહેતા?”

નિર્દોષ જોને હા પાડી.

આત્મગૌરવનો આ બીજો દાખલો હતો.

“તારો ઘોડો તને કોણે આપ્યો હતો?”

“રાજાએ.”

“એ સિવાય તારી પાસે કંઇ પણ દ્રવ્ય હતું ?”

“હતું; પણ મારે માટે નહિ, લશ્કરના પગાર માટે.”

“તારૂં બખ્તર અને તારી તરવાર એ બન્ને વસ્તુ તેં ધર્મમંદિરમાં મૂકી હતી ?”

“હા.”

“પૂજા કરવામાં આવે તેને માટે ?”

“નહિ, જે યોદ્ધાઓ ઘવાય તેણે આ વસ્તુઓ ધર્મમંદિરમાં ધરવી, એવો ધારો છે. હું પારીસ આગળ ઘવાઈ હતી.”

અહા ! આ લોકોનાં હૃદય ન પીગળ્યાં. આવી નિર્દોષ બાળા ઘવાય એ શું કરુણાજનક નહોતું ?

“તારો વાવટો તારા આત્માને સહાય આપતો કે તારો આત્મા તારા વાવટાને સહાય આપતો ?”

“એની મને ખબર નથી, પણ એ તો ચોક્કસ છે કે, સઘળા વિજયો પ્રભુ તરફથી મને મળતા. પ્રભુ સિવાય મેં કોઈમાં શ્રદ્ધા રાખી નથી.?”

“રાજાએ મુકુટ પહેર્યો, ત્યારે તારોજ વાવટો રાજા પાસે રાખવામાં આવ્યો હતો અને બીજા કોઈનો કેમ નહિ ?”

“કારણ કે વિજય મેળવવાનો બધો ભાર તેણે ખેંચ્યો હતો.”

કેટલું સરળ ! કેટલું સુંદર ! જોન વકતૃત્વની સ્વામિની હતી. તેનું જીવન ઉચ્ચ હતું અને જેવું તેનું ચારિત્ર ઉચ્ચ હતું, તેવીજ ઉચ્ચ તેની વાણી હતી.

(૮)

આ છુપી તપાસ આમ પૂરી થઈ. બીજી વખત પણ કંઈ પરિણામ આવ્યું નહિ. આ છેલ્લી તપાસ બહુ અધમ પ્રકારની હતી. જોનને અત્યાર અગાઉ જે થોડીઘણી અનુકૂળતાઓ હતી, તે પણ હવે છીનવી લેવામાં આવી. બિચારી નિર્દોષ, નિરાધાર બાળા ઉપર કેટલો જુલમ !

તેઓ જ્યાં ત્યાં છિદ્રો શોધવા લાગ્યા. જોનની જુબાનીમાં