ઝાલો, ઈછલો વગેરે મિયાંની મીની બની ગયા. માલ કબજે લઈને મહારાજ ફોજદાર પાસે ગયા. ઈછલાનું નામ આપ્યા સિવાય આખા તરકટની વાત કહી સંભળાવી. ફોજદાર કહે,"બળ્યું ત્યારે! એવી ઝડતી નથી કરવી."
[૩]
કાપડની પોટલી હાથ કરી લઈ એક પાટણવાડિયાને ઘેરે મૂકી મહારાજે પાટણવાડિયાની પોતે જે પરિષદ રચી હતી તેની 'કમિટી'ને બોલવી, અને કહ્યું:"કિનખલોડની આ ચોરી કરનાર આપણો ઈછલો છે."
બોલાવ્યો ઈછલાને.
ઈછલો મહારાજના પગમાં હાથ નાખીને કહે કે, "મહારાજ! એ કાપડની ચોરી મેં કરી છે તે ખરું; પણ એ કિનખલોડની નહિ."
"ત્યારે?"
"અલારસા ગામની."
"જૂઠું; અલારસામાં કોઇ ચોરી થઈ જ નથી." આખા પરગણામાં પાટણવાડિયો ગુનો કરે તેના ખબર પોલીસને તો પહોંચતા પહોંચે, મહારાજને તરત પહોંચે.
"થઈ છે, મહારાજ;" ઇછલાએ કહ્યું: "પણ જાહેર નથી થઈ; કારણ કે એમાં જાહેર ન કર્યા જેવી બાબત હતી."
"સાચું કે'છ?"
"ન માનતા હો તો જાવ; પૂછી આવો અલારસે."
કાપડની પોટલી લઈને મહારાજ રાતોરાત પહેલા કિનખલોડ પહોંચ્યા. જેનું કાપડ ચોરાયું હતું તે પાટીદારને માલ બતાવીને પૂછ્યું: "આ તમારું કાપડ?"
માલ જોઇને પાટીદારે કહ્યું: "મારા જેવું ખરું, પણ મારું તો નહિ જ, મહારાજ."
ત્યાંથી ઊપડીને આવ્યા અલારસે ગામે. મુખીને જઈ પૂછ્યું: