૯
‘મારાં સ્વજનો’
મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં.
જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી નીકળ્યો હતો પણ મોત એને મારગમાં એ વાડી તરફ ખેંચી ગયું.
પાટણવાડિયા ત્યાં ત્રણ હતા. એક કોસ હાંકતો હતો. બીજો પાણી વાળતો હતો. ત્રીજો બેઠો હતો. મુખીને આવતા જોઈને વાઘલે કહ્યું : "આવો, મુખી !"
"સાળા કોળા !" પાટીદાર મુખીએ નિતના સામાવાળા આ પાટણવાડિયાને કંઈ કારણ વિના ગાળથી સંબોધીને શરૂઆત કરી : "કેમ, અલ્યા બહુ ફાટ્યા છો ?"
એ પછી, કંઈ નજીવો કિસ્સો બન્યો હશે તેની યાદ આપીને, ધમકી ઉપર ધમકી ઝૂડી.
વાઘલો રાંકપણું રાખીને સાંભલી રહ્યો, એટલે મુખીએ કહ્યું : "લાવ, થોડી શિંગો દે."
વાઘલે શિંગો લાવી આપી, તે ખોઈમાં બાંધીને મુખી સ્ટેશન તરફ ચાલ્યો. પણ એની પીઠ વળ્યા પછી આ ત્રણે જણા તપવા લાગ્યા. એક કહે : "કણબો લેવાદેવા વિનાની ગાળો દઈ ગયો." બીજો કહે : "તો