પૃષ્ઠ:Maro Jel No Anubhav.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૮
ગાંડીવ સાહિત્ય મંદિર,સુરત.

ખાતર મારે કહેવું જોઇએ કે જે તહોમત મારા ઉપર મૂકવામાં આવ્યાં છે તેની બધી જવાબદારી એક વકીલ તરીકે તથા નાતાલના જુના રહીશ તરીકે હું મારે માથે લઉં છું, હું માનું છું કે આ લોકોને કોલોનીની બહાર લઇ જવાથી લોકોના મન ઉપર જે છાપ પડી છે તેનો હેતુ ઉમદા હતો. ખાણોવાળા સામે કાંઇ તકરાર નથી. આ લડતથી તેમને ગંભીર નુકશાન થાય છે તે માટે હું દીલગીર છું. હું હિંદી મજુરો રાખવાવાળાને પણ વિનંતિ કરૂં છું કે આ કર મારા દેશી ભાઇઓ પર ભારે બોજા રૂપ છે અને તેથી તે રદ થવો જોઇએ. મને લાગે છે કે ઓન. મિ. ગોખલે અને જનરલ સ્મટસ વચ્ચે જે સ્થિતિ ઉભી થઇ છે તે જોતાં અત્યંત ધ્યાન ખેંચાય તેવી લડત ઉઠાવવાની મારી ફરજ હતી. સ્ત્રીઓને અને ધાવણાં બચ્ચાંને સંકટ સહન કરવાં પડ્યાં છે તે હું સમજું છું. અને તે છતાં મને લાગે છે કે લોકોને સલાહ આપવાની મારી ફરજ હતી. અને તે મેં બજાવી છે. અને જ્યાં સુધી તે કર રદ થયો નથી ત્યાં સુધી કામ નહીં કરવાની ને ભીખ માગીને પેટ ભરવાની સલાહ મારા દેશી ભાઇઓને ફરી ફરી આપવામાં હું મારી ફરજ સમજીશ. મને ખાત્રી છે કે દુ:ખ ભોગવ્યા વિના તેઓના પરના જુલમનો અંત આવવાનો નથી. "

હું તો જેલમાં ઠરી ઠામ બેઠો. પાછળથી વોલક્‌ર્સ્ટમાં મારા ઉપર કામ ચાલ્યું અને ડંડીમાં થએલી નવ માસ ઉપરાંત ત્યાં બીજી ત્રણ માસની જેલ થઇ.

આ અરસામાં મને ખબર થયા કે મિ. પોલોક પકડાયા છે. અને હિંદુસ્તાન જવાને બદલે જેલમાં જઇને બેઠા છે. હું તો રાજીજ