પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૩૩
 


મશ્કરીમાં પૂછતો : “આપણો ગ્રેટ મોગલ કેમ છે ?” વિયેનાના બધા જ નાગરિકો એના સુપરઈગોથી વાકેફ હતા.

ડ્રૉક્ટ્રાઇન ઑફ વિલ ટુ પાવર

એના જમાનાનો એક શ્રેષ્ઠ પિયાનિસ્ટ હોવા ઉપરાંત બીથોવને પોતાની અંદર એક જબરજસ્ત સર્જનાત્મક તાકાત મહેસૂસ કરેલી. આ કારણે એની કૃતિઓ છાપવા માટે પ્રકાશકોએ પડાપડી કરવી શરૂ કરી. એ માટેની એમની અંદર અંદરની હરીફાઈને કારણે પણ બીથોવનનો સુપ૨ઈગો વધુ ને વધુ ફૂલતો ગયો. એ વારંવાર મગજનો પારો ગુમાવતો. તે છતાં પણ એના ઍરિસ્ટ્રોક્રેટિક શ્રીમંત આશ્રયદાતાઓ અત્યંત સહનશીલ નીકળ્યા. એનાં પ્રખર ક્રોધ, તોછડાઈ અને ઘમંડ તેમ જ તુંડમિજાજને એમણે હંમેશાં હસતે મોઢે વેઠી લીધાં. એ બધા એની સર્જનાત્મકતાનું મૂલ્ય સમજતા તો સાથે સાથે એ પણ સમજતા હતા કે એમની અને એની વચ્ચે જે આર્થિક-સામાજિક અસમાનતાની ખાઈ છે તે એટલી ઊંડી-પહોળી છે કે ક્યારેય પુરાવી શક્ય નથી. પણ એના હરીફ સંગીતકારો એનો અણઘડ તોછડો સ્વભાવ અને તુંડમિજાજ શાને સહન કરે ? એ તો એને નીચો અને હીન સાબિત કરવા માટેના લાગમાં જ રહેતા. પણ બીથોવનનો અહમ્ તો કોઈ પણ ભૌતિક કે દુન્યવી પરિબળોને આધીન થવા તૈયા૨ નહોતો. મહાન જર્મન ફિલસૂફ નિત્શે હજી જન્મ્યો પણ નહોતો; પણ નિત્શેએ ઘડેલા ‘ડ્રૉક્ટ્રાઇન ઑફ વિલ ટુ પાવર'ને ચરિતાર્થ કરનારી હૂબહૂ ઘટના બીથોવનના ચારિત્ર્યમાં આગોતરી જ જોવા મળે છે. ઝ્મેસ્કેલ નામના એક મિત્રને બીથોવને લખેલું :

નીતિમત્તાને લગતો તારો ઉપદેશ તું તારી પાસે જ રાખજે. બીજા પર રાજ કરવા સર્જાયેલા પુરુષો માટે તો એકમાત્ર નીતિ એ શક્તિ જ છે; મારે માટે પણ એમ જ છે. તું જા જહન્નમમાં.