એક દિવસ તા. ૨૭ મીના રોજ દુશ્મનની ૫૦ સૈનિકોની નિરીક્ષક ટુકડી આપણી ફોજના થાણા આગળ આવી. આપણી હરોળના ચોકીઆતે સમયસર ખબર આપ્યા અને પરિણામે તેને ઘેરવા માટે બે બાજુથી આપણી પલ્ટણને મોકલવામાં આવી. પણ તેને ઘેરી લેવામાં આવે તે પહેલાં તો તેમણે નાસવા માંડ્યું. આપણા સૈનિકોએ બે માઈલ સુધી તેમનો પીછો પકડ્યો, એમાંના ઘણા તો મલાયામાંથી ભરતી થયેલા નાગરિકો હતા. દુશ્મનોએ નાસતા નાસતા પીછો પકડનારા આપણા સૈનિકો પર ગાળીબારો કરવા માંડ્યા. આપણા સૈનિકોએ ગોળીબારથી બચવાને જમીન પર બેસી જવાને બદલે નાસતા દુશ્મનોને બૂમ પાડીને સંભળાવ્યું, ‘એ બાત તો સુનતે જાઓ’, બે કલાક સુધી પીછો પકડ્યા પછી આપણા સૈનિકા પાછા ફર્યાં, જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ‘તમારે આવું જોખમ લેવું ન જોઇએ. જમીન પર બેસી જવું જોઈએ.’ ત્યારે તેમણે કહ્યું, ‘સાહેબ હમ ક્યા કરે દુશ્મન તો રૂકતા હી નહીં હૈ, ભગે ચલે જાતા હૈ.’ આપણી ફોજનો, આપણા સૈનિકોનો અપૂર્વ જુસ્સો આ શબ્દોથી વ્યક્ત થયા છે પણ એમની તાલીમ પૂરી નથી.
બીજે દિવસે જાપાની અફસરે સમાચાર આપ્યા પામ્ગોબીન નજદિકના ગામડીઆઓએ ત્રણ દુશ્મન લોરીઓ મડદાથી ભરેલી પસાર થતી જોઈ હતી.
એવા પણ સમાચાર મળ્યા કે ટુન્ગીન ટેકરીઓ પાસેના ગામડામાંથી દુશ્મનો બળાત્કારે સ્ત્રીઓને ઉઠાવી ગયા હતા. તેમને એક એ દિવસ રાખીને પાછી મોકલી આપી હતી. બળાત્કારના બનાવો તો એટલા બધા વધી પડ્યા હતા કે ગામડીઆઓ બ્રિટિશ વિરોધી બની ગયા. આ બીજું થાણું છે કે જ્યાં દુશ્મનો આપણને પરાજય આપી શક્યા નથી. દુશ્મનો તેમને