પૃષ્ઠ:Niharika.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હિંસાની કો મહાજાલે પુરાયું જીવ પંખીડું;
વિસ્તરે પાંખ-તે સાથે વિસ્તરે કાલની કલા.


મૃત્યુ કાજે જીવન ઘડિયાં? આદિના અંત શાને ?
આંસુ પ્રેરે કંઈક હૃદયે કેમ વિકરાળ હાસ્ય?
કે એ મૃત્યુ બૃહદ જીવને ખૂલનારી ગવાક્ષ?
કે કો વ્યાખ્યા જીવનજલમાં મૃત્યુ વિશ્રામઘાટ?


વિશ્રામઘાટ? ― પછી શાની અપાર પીડા?
વ્યાપી રહી મરણમાં ક્યમ આંસુક્રીડા ?
મૃત્યુ ગમે ન નિજનું- ક્યમ અન્ય કેરા
ઘાતે પ્રવૃત્ત બનતી સહુની પ્રવૃત્તિ ?


વ્યાધિમાંહી છુપાઈ કાલ ગ્રસતો આનંદતા જીવને;
હિંસા ક્રૂર કુઠારધાર વસીને છેદી રહ્યો ગ્રીવને;
ડૂબે, વિદ્યુતમાં બળે, જળી જતો દેહી કદા પાવકે,
વાર્ધક્યે થકી શૂન્યતા મહીં સરી લોપાય એ મૃત્યુમાં.


વ્યાધિ ગમે ના, નવ ઘાવપીડા,
દાઝ્યાડૂબ્યાની નવ હોંશ કોને;
વાર્ધક્ય એ યૌવન કેરી ભીતિ;
ના કાલને જીવન સાથ પ્રીતિ.


ન શું શોધાયે એ જીવનઝરણીના શમનને ?
ન શું કો ઉપાયે મરણ તણી પીડા ટળી શકે ?
હશે ક્યાંયે જાદુ જીવન થકી સાંધી નિધનને
ઉઘાડે રોધંતા મૂંઝવણભર્યા ભાવિ પડદા !


બાણ શા સુસવાટે એ ઉલૂકે અવકાશમાં
ડૂબકી મારી – માળામાં ચીંચીકાર મચી રહ્યો !


બુદ્ધને ગૃહત્યાગ : ૨૯