પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
172
નિરંજન
 

બની ગયેલા દાખલા દીધા.

“પ્રકૃતિની આ ચેતનાઓ !” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી કે પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.

“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે ? કોને કાને પડે છે ? શા માટે અમુકને જ સંભળાય છે ? કોઈ કાયદો છે ?

“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ-સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે ?

“આપણું અગિયાર વર્ષનું કિશોરજીવનઃ તેમાં ક્યાંયે આ વાતનો નિર્દેશ ન મળે.

"લોજિકનું એકેય સિલોજિઝમ, તર્કશાસ્ત્રની એકેય વ્યાપ્તિ આ જીવતા જીવનને લાગુ ન પડે.

“રસાયણવિદ્યામાંથી ગેરહાજર આ એક વસ્તુઃ આ જીવનરસાયન.

“મનોવિજ્ઞાને ઘણી મોટી વાતો કરી આપણા કાનમાં – બાતલ ફક્ત આ જીવનનાં મર્મો, ભૂમિતિએ ઘણાય ખૂણાનાં માપ ભરતાં શીખવ્યું - ન કોઈએ નજરે પણ કરાવ્યા આ મનોભૂમિના ખૂણા.

"પ્રકૃતિને વિકૃતિમાં ઘસડનારું આ અજ્ઞાન એ વિદ્યાલયોનું શેષદાન છે. આપણી જુવાનીને હણનાર ઘી વિનાની રોટલી નથી, વિટામિનના અભાવવાળું ભોજન નથી, રાતભરનાં અવિરામ અધ્યયનો નથી, પરીક્ષાઓ પણ નથી.

"હણે છે – આ જીવનતત્ત્વોનું અજ્ઞાન...”

“સાહેબ,” એક અવાજ ઊઠ્યો, “જે સાચોસાચ અનર્થ બન્યો છે, તેના પર આ શણગાર ન પહેરાવો.”

નિરંજને બોલનારને નિહાળ્યો. એ હતો એક જૂનો જોદ્ધોઃ બી. એ.માં નપાસ થઈ રહી ગયેલો પેલો સેક્રેટરી.