બની ગયેલા દાખલા દીધા.
“પ્રકૃતિની આ ચેતનાઓ !” એણે કહ્યું, “પરસ્પર પ્રાણદાન કરવા જેટલી આ તાલાવેલી સ્ત્રી કે પુરુષ વચ્ચે હોય તો સતીત્વના તખ્ત પર વિરાજે: પુરુષ પુરુષ વચ્ચે બને છે ત્યારે ગંદામાં ગંદા આક્ષેપોમાં રગદોળાય ને જિંદગીના ભોગ માગે.
“બંને પ્રકૃતિના સાદ: એ સાદ ક્યારે સંભળાય છે ? કોને કાને પડે છે ? શા માટે અમુકને જ સંભળાય છે ? કોઈ કાયદો છે ?
“અભેદ્ય છે એ સમસ્યા, એ સંડાસોની દીવાલ પરના શિલાલેખનો વિષય નથી. નીતિ-સદાચારનાં ચોકઠાં રચાયાં, પણ જીવનનાં નીર એમાં શે બાંધ્યાં રહેશે ?
“આપણું અગિયાર વર્ષનું કિશોરજીવનઃ તેમાં ક્યાંયે આ વાતનો નિર્દેશ ન મળે.
"લોજિકનું એકેય સિલોજિઝમ, તર્કશાસ્ત્રની એકેય વ્યાપ્તિ આ જીવતા જીવનને લાગુ ન પડે.
“રસાયણવિદ્યામાંથી ગેરહાજર આ એક વસ્તુઃ આ જીવનરસાયન.
“મનોવિજ્ઞાને ઘણી મોટી વાતો કરી આપણા કાનમાં – બાતલ ફક્ત આ જીવનનાં મર્મો, ભૂમિતિએ ઘણાય ખૂણાનાં માપ ભરતાં શીખવ્યું - ન કોઈએ નજરે પણ કરાવ્યા આ મનોભૂમિના ખૂણા.
"પ્રકૃતિને વિકૃતિમાં ઘસડનારું આ અજ્ઞાન એ વિદ્યાલયોનું શેષદાન છે. આપણી જુવાનીને હણનાર ઘી વિનાની રોટલી નથી, વિટામિનના અભાવવાળું ભોજન નથી, રાતભરનાં અવિરામ અધ્યયનો નથી, પરીક્ષાઓ પણ નથી.
"હણે છે – આ જીવનતત્ત્વોનું અજ્ઞાન...”
“સાહેબ,” એક અવાજ ઊઠ્યો, “જે સાચોસાચ અનર્થ બન્યો છે, તેના પર આ શણગાર ન પહેરાવો.”
નિરંજને બોલનારને નિહાળ્યો. એ હતો એક જૂનો જોદ્ધોઃ બી. એ.માં નપાસ થઈ રહી ગયેલો પેલો સેક્રેટરી.