પૃષ્ઠ:Pankhadio.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફૂલછોડે ફૂલેલાં ફૂલ ફૂલછોડનાં જ પ્રફુલ્લેલાં પ્રાણતત્ત્વ છે એમ એનાં આછેરાં આભૂષણ એનાં સૌન્દર્ય-તત્ત્વનાં પ્રફુલ્લેલાં ફૂલડાં સમાં દીસતાં.

ખરૂં પૂછો તો શણગારને તે સુન્દરી શોભાવતી હતી.

લજામણીની પાંદડીઓ સમાં એનાં પોપચાં પડતાં ને ઉપડતાં. પણ એ પાંદડીઓમાંથી કય્હારેક કટારો ઉછળતી.

પુણ્યના પ્રકાશ એની સારી યે દેહદેહરીમાંથી પ્રગટતા હતા. ચન્દ્રદર્શને ચન્દ્ર કે ચન્દ્રિકા પ્રત્યે કો નરાધમ જ દુર્ભાવના થતી. રાવણ સમા કો રાક્ષસને એની દુર્વાસના જન્મતી: દેવો તો એને પૂજ્યભાવે વન્દન વન્દતા.

જગદંબાની એ બાલિકા સન્મુખે ઘણાખરાની અન્તરની મલીનતા ઉપટી જતી.

પોયણાં શી આંખડીઓ પ્રફુલ્લતી, પણ એમાંનું કોક કોક કિરણ તો ખડ્‍ગને ઝબકારે ઝળહળતું.

ગુજરાતની ધ્રુવદિશા ને સૂર્યદિશા રક્ષન્તી સિંહવાહિનીની એ વીર કુમારિકા હતી:

આંખ દર્શનમુગ્ધ હતી, પણ ઉર ઉડતું હતું. મ્હારા અન્તરમાંથી કોક પેલાં કાવ્યચરણો ગુંજી ઉઠ્યું. કવિતાની એ રસરેખાઓમાં ગુર્જરસુન્દરીની ચિત્રરેખાઓ છે.

૧૮૪