કસોટી કહાડી જોવાની ઇચ્છાથી બેએક વાર્તાઓની બીજાના હસ્તાક્ષરે નકલો કરાવીને નવાં જ ઉપનામોથી માસિકને મોકલાવી. એ વાર્તાઓ આ સંગ્રહમાં છપાઈ છે, પણ એ માસિકોમાં છપાય ત્ય્હારે ખરી. આમાંની એક બીજી વાર્તા મ્હારા નામથી એક માસિકમાં મોકલી. તે તરત છપાઈ; ડો. ટાગોરના શાન્તિનિકેતનમાંના એક ગુજરાતી વિદ્યાર્થીએ આન્ધ્ર દેશની ભાષામાં એનું ભાષાન્તર કીધું; ને એક ઉગતા આન્ધ્ર લેખકે મ્હારા બીજા ગ્રન્થોના ભાષાન્તરની પછી પરવાનગી પણ માગી ! સુરૈયાના નામથી નહિ, કસ્તુરીનાં ગુણગૌરવથી કસ્તૂરીનાં મૂલ મૂલવવાનું હજી યે આપણા સાહિત્યરસિકોને કહેવાનું રહે છે ?
સંસારશાસ્ત્રના પ્રશ્નો ગહન ને વિકટ છે. એક સન્નારીએ આમાંની બેએક વાર્તા વાંચી હતી, મંહી આપણા સંસારપ્રશ્નોના ઉકેલ દીઠા હતા. હા; કોઈકમાં ઉકેલ હશે, કોઈકમાં વણઉત્તર પ્રશ્ન જ પાથર્યો હશે, કોઈકમાં સંસારપ્રશ્નનું માત્ર સૂચન જ હશે. ન્યાયશાસ્ત્રનાં સમીકરણોની આમાં કોઈ આશા રાખશે તો તે નિરાશ થશે. નવલકથાનાં આ પ્રકરણો નથી, કે આ નવલિકાઓ યે નથી. આ તો નવલનાં Lyrics છે.
વાંચનાર ! મુંબઇમાં ચોપાટીના દરિયાકાંઠે ગયાં હશો: તો તે સંભારી જોશો ? સાગર તો ત્ય્હાંથી આઘે છે; પણ જરી જરી જેવડી જલલહરીઓ આવે છે ને પૃથ્વીપાળને પ્હલાળી જાય છે. છબછબિયાં પાણીની એ ઝીણકી જલલહરીઓમાં પાય ભીંજવ્યા હશે. છલબલતી આ લગરીક શી લહરીઓમાં યે આવો ને પાય ભીંજવો. કોઈક તપ્યાંને જરીકે ટાઢક વળશે, કોઈકનાં સહેજે ચરણ ધોવાશે, ત્હો યે કૃતાર્થ થયો માનીશ.
વૈશાખી પૂર્ણિમા, વિ. સં. ૧૯૮૬ માથેરાન |
ન્હાનાલાલ દલપતરામ કવિ |