કે ‘હાલારમાં.’
‘કેવા છો ?’
‘બોરીચા. હમીર બોરીચો. આઘા રે’જો. ઘોડી પરગંધીલી છે.’
આવ્યો હરજીવન વાણિયાની દુકાને. ‘શેઠ, બાજરો તોળજો છ શેર.’
પૂછ્યું ‘કેટલા પૈસા ?’
કહ્યા પ્રમાણે પૈસાનો ઘા કર્યો.
ગણીને હરજીવને કહ્યું, ‘બે પૈસા વધારે છે.’
‘એના કૂતરાને રોટલા નીરજે. લાવ્ય બાજરો.’
‘કહો છોને ઘોડી પરગંધીલી છે !’
કે ‘વાણિયાને કમ કરડે છે !’
‘રંગ છે બુધા ગીડાના લોઈને !’
એમ બોલીને એકલિયો દાયરામાં બેસીને કસૂંબો પીએ.
કે ‘કાં એવા રંગ આપો ?’
કે ‘બા, બુધો ગીડો શૂરવીર હતા. એવા શૂરવીર કે લોઈ ભાળીને મરી ગયેલા ! એટલે હું કસૂંબામાં એને રંગ દઉં છું. ગીડાની તરવાર ને મારું ખાસડું. ગીડાની હારે હું તરવારે લાકડીએ તો લડું નહિ.’
*
મોરબીની જેલમાં પોતાને નખાવનાર એક ભગવતસિંહ ગરાસીઓ હતો. ભલા ગામમાં રહેતો. ઊપડ્યો એને મારવા. ગામની ખળાવાડમાં ભગવતસિંહ ખળાં ભરે છે. વાડ્યે ડોકાણો ને કહ્યું, ‘કાં, દરબાર, તૈયાર છો ને ?’
‘હા તૈયાર !’ કહેતો ભગવતસિંહ જોટાળી બંધૂકે ઘોડે ચડી બહાર નીકળ્યો. ભેળા સંધી સવાર. મંડ્યા સામસામા ઝપટ કરવા.