સરનામું છે માત્ર-
‘ઠાકુરમાર ઝૂલી : શ્રી, આશુતોષ ઘર, આશુતોષ લાયબ્રેરી ૭૩૯/૧ કોલેજ સ્ટ્રીટ કલકત્તા.’
એ સરનામું સૂચવે છે કે છેક ૧૯૨૬ ની સાલથી આપણા લોકસાહિત્યનો પરપ્રાંતના લોકસાહિત્યની સાથે તુલનાલક્ષી અભ્યાસ ચાલતો હતો. પરપ્રાંતના જ નહિ, પરદેશોના પણ લોકસાહિત્યનું પરિશીલન ચાલતું હતું તે વળી આ ટચૂકડું ટાંચણ બતાવે છે.
સરખાવો Fair annie 61–117 ‘સાયબાના લગ્ન’
તે પછી પાછું ટૂંકું ટાંચણ—
શાકુંતલ : અંક ૫ અગર ૬ : ભરતને જોઈને દુષ્યંત–
धन्यास्तदं गरजसा मलिनीभवन्ति
સરખાવો - ધોયો ધફોયો મારો સાડલો
ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે !
કાલિદાસના શાકુંતલમાંની એક વાત્સલ્યોક્તિની સાથે આપણા અઘરણી – ગીતની એક ઉકિત જોડે આ સરખામણી કોણે સુઝાડી ? એ સ્મરણ સ્પષ્ટ છે. ભાઈ છેલશંકર વ્યાસે. મુંબઈના આજના સફળ વકીલ, તે પૂર્વેના અખબારનવેશ, સોવિએટપૂજક સામ્યવાદી અને તેની પૂર્વે ’ર૫-’૨૬ વાળા સૌરાષ્ટ્ર સાપ્તાહિક પરના બંધુ-સહતંત્રી શ્રી છેલશંકર પ્રથમ વાર મારા ભાવનગરની શામળદાસ કોલેજમાંના સમારંભમાં ‘લીપ્યું ને ગુપ્યું મારું આંગણું’ એ લોકગીત સાંભળીને આવ્યા અને શાંકુતલનો શ્લોક મારી પાસે ધરી દીધો, પ્રસંગ કંઇ દેખાય છે તેવો નાનો નહોતો. એક કાળના એ સમભાવી સમસંવેદનશીલ સ્નેહીએ આ નાના શા પ્રસંગને મારા મનમાં લોકસાહિત્ય તથા લોકોત્તર સાહિત્યની વચ્ચે સુવર્ણની કડી જોડી આપી. રેડિયમની કણિકા જેવી આવી કોઈ કોઈ સુચન–કણીઓ અણુઓલવાઇ ઝગ્યા કરે છે,