પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ : પત્રલાલસા
 

તેમનાં પત્નીની માંદગી હોવાને લીધે તેમને ત્યાં કદી કદી જવું પડે છે.' દીનાનાથે પૂર્તિ કરી.

'અને આ મંજરી તો ઓળખતી પણ શાની હશે ?' ચિતરંજને પ્રશ્ન કર્યો. આ પ્રદેશ છોડ્યે મને બારેક વર્ષ વીતી ગયાં. મંજરી તો ત્યારે બહુ નાની.'

મંજરીએ હસતે મોંએ નીચું જોયું. સ્વાભાવિક સૌંદર્ય અને સંસ્કાર-શોભનકલા, એ ઉભયથી શોભતી આ બાલા અજાણ્યા મંડળમાં બેસવાથી સંકોચ વ્યક્ત કરતી હતી.

'બેટા !' ચિતરંજને કહ્યું, 'હું તો એક ખાખી છું. જમાતમાં રખડવું અને જોવું એ બે સિવાય ત્રીજું કામ મેં કર્યું નથી. જિંદગીમાં કોઈને સગાં કર્યા નથી. સ્વાર્થની જાળો ગૂંચવી તેમાં આપણે જકડાઈ રહેવું એ કદી મને ગમ્યું નથી. કેમ, એ પીડામાં પડ્યો નહિ એ ઠીક કર્યું ને ?'

મંજરીને વાતમાં દોરવાનો તેણે પ્રયત્ન કર્યો, પરંતુ હસતું મુખ રાખી મંજરી બેસી રહી.

નંદકુંવર એટલામાં દાખલ થયાં. ચિતરંજનને જોઈ પ્રથમ તો તેઓ ચમક્યાં. બાર વર્ષનો ગાળો મનુષ્યની સ્મૃતિ ઉપર કંઈ કંઈ પડદા પાડે છે; પરંતુ પહેલાંનો નિત્યસંબંધ સ્મૃતિપટ ઉપર અંકાઈ ગયેલો હોય તો બાર વર્ષમાં કાંઈ પાછલી વાત ભુલાય નહિ.

'નંદુભાભી ! હું જીવું છું હો. મારું આ ભૂત ન હોય !' ચિતરંજને નંદકુંવરને કહ્યું.

'રંજનભાઈ !' નંદકુંવરે સંબોધન કર્યું. તેના મુખ ઉપર હર્ષ છવાઈ રહ્યો. ઘણે વર્ષે પોતાના ભાંડુને મળતાં નયનોમાંથી જે અમૃત વરસે, તે અત્યારે નંદકુંવરની આંખમાંથી વર્ષવા માંડ્યું. 'જોયે તો જુગ થઈ ગયા ! હવે તો અહીં આરામ લો !'

એનો એ જ સ્વભાવ, એની એ મૃદુતા અને એની એ સરળતા ચિતરંજને નંદકુંવરમાં જોઈ. દુઃખે તેના સ્વભાવમાં કટુતા આણી નહોતી, અને સ્વભાવમાં કટુતા ન હોવાથી તેના મુખ ઉપરનું સ્વાભાવિક માધુર્ય કાયમ રહ્યું હતું. ક્લેશી સ્વભાવનાં પ્રતિબિંબ રૂપ કરચલી પડેલી ન હોવાથી તેનું મુખ ઉંમર છતાં સોહામણું લાગતું હતું.

‘હજી મહેમાનોનો શોખ નથી ગયો શું ?' ચિતરંજને આમંત્રણનો જવાબ વાળ્યો.

ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી. દીનાનાથનું મહેમાનપ્રિય