એક આપમેળે શીખેલું નાજુક કટિનૃત્ય હતું. પદ્મશ્રીની કમ્મર તાલે તાલે ને સૂરે સૂરે પોતાના પાતળિયા લોક પાસે જાણે કે છંદો ગવરાવી રહી હતી. કોળીમાં આવી જાય તેટલી જ એ કેડ્યમાં માનવીએ મહાગ્રંથો ભરી આપે તેટલી બધી કરામત કોણ જાણે ક્યારે છુપાવી રાખી હતી.
પદ્મ પાસે આવ્યું અને હેમકુંવરબહેને હર્ષનાદ કર્યો, "અરે, અરે, આ તો આપણી નીમ્યા. અરે વાહ રે વાહ, નીમ્યા!"
પદ્મમાં નૃત્ય કરતી નીમ્યાની અને હેમકુંવરબહેનનની ચાર આંખો ભેળી થઈ અને પદ્મ-ગાડી પસાર થઈ ગયા પછી હેમકુંવરે પતિને કહ્યું "કહો ન કહો, પણ આ બાઈની આંખોમાં પોતે નાચે છે તેટલો ભારોભાર ઉલ્લાસ નથી."
"જોયું નહીં !" દાક્તરે કહ્યું, "નીમ્યા હવે માતા થવાને માર્ગે જણાય છે."
"તો તો થાકીને લોથ થવાની."
"તેનું બ્રહ્મીને શું ! આજનો લહાવો લીજિયે રે, કાલ કોણે દીઠી છે!"
"માળાં નાનાં બાળકો જેવાં."
"બસ, તેં બરાબર કહ્યું. આ બ્રહ્મી પ્રજા એની મધુર મુગ્ધ બાલ્યાવસ્થા જ વિતાવી રહી છે. અને ખોટુંય શું છે?"
"પણ એ અવસ્થા ઊતરશે ત્યારે શું થશે, દાક્તર ?"
"આપણે પરદેશીઓ કદાચ એ બાળાપણનો વહેલો અંત આણી દેશું. આ નિર્દોષતા લાંબી નહીં ટકે. આપણે એનું સુખ-સોણલું ઉડાડી મૂકશું!"
"એટલે શું?"
"એટલે રતુભાઈ રોજ કહે છે તે. એમને - એ બ્રહ્મીઓને - હવે ભાન થવા લાગ્યું છે કે તેઓ ભીંસાય છે. તેઓને કોઈક છેતરી રહેલ છે. અને તેઓની ભૂમિને કોઈક પરાયાં શોધી રહેલ છે."
તે જ વખતે છાપું આવ્યું. અને ડૉ. નૌતમે મોટાં મથાળાં વાંચ્યાં.