પૃષ્ઠ:Puratan Jyot.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત દેવીદાસ
૬૫
 

દેવાનું મન થઈ જાય છે. સત સાંઈ નૂરશાહ ! સત જયરામશાહ !”

"પણ આપણો ગુનો શો છે તે લોકો સંતાપે છે?”

"લોકો જે કરવા તલસે છે, પણ બીકના માર્યા કરી શકતા નથી, તેવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુને જ લેખાય ને બાઈ ! પારકાની વહુબેટીને અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવાતેવા અપવાદ છે, બેન ! દેવતાની આંખમાંય ખૂન આવી જાય, સમજી બચ્ચા ?”

"થોડું સમજી, શાદુળ ખુમાણ પણ મને એ જ માર્મિક બોલ કહી ગયેલા.”

થોડી વાર બેઉ ચૂપ રહ્યાં. અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્પરુષનાં છૂંદાયેલાં હાડમાંસનો માળખો પડ્યો હતો. એની આંખમાં લાલપના દોરિયા ફૂટયાઃ એ બોલી ઊઠી: “ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા હતા એમ?”

“શાંતિ હારે એ જોદ્ધો નહીં, બેટા !” દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું પાસું ફેરવતાં ફેરવતાં એના મોંમાંથી અરેરાટી છૂટી ગઈ.

એ અરેરાટી-શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી : “હું – હું – હું જાઉં છું. જુનાગઢને સિપાહી-થાણે ખબર કરું છું. એ પાપિયાએના હાથમાં કડીઓ જડાશે.”

"ફોગટ છે બેટા ! એ બધું.”

"કેમ?”

“હું પોતે જ નામકર જાઈશ.”

"મને ખોટી પાડશો ? સંત દેવીદાસ ઊઠીને જૂઠ વચન બોલશે ?”