છેલ્લું ગાન
'તારા શ્રીહરિને તેં એકેય વાર આમ રૂપ ધરીને તારાં કામ કરતા નજરોનજર દીઠા છે ?'
'ના રે ના ! રાધેશ્યામ કરો મહારાજ. મેં કદી નથી જોયા. મુજ સરખા પાપીને એનાં દર્શન ક્યાંથી થાય ?'
'ત્યારે તું પોતાને પાપી માન છ. એટલો વળી ડાહ્યો ! ને પરદેશીઓના પારકા પૈસા લઇને ખોટેખોટી હુંડી પણ તેંજ લખી આપેલીને ?'
નરસૈયો ન બોલ્યો. એ ભૂલનો એને પસ્તાવો હતો.
'પછી આ રતન નાગરાણીને તારે શું સગપણ હતું ?'
'એ મારાં મામી હતાં. વાલાજીનાં ભક્ત હતાં.'
'એના જ હાથનું પાણી પીવામાં કાંઇ વિશેષ ભજન-રસ પડતો હતો ? કોઇ પુરુષ નહિ, તારી સગી સ્ત્રી કે પુત્રી નહિ, કોઇ બુઢ્ઢી નગરનારી નહિ, ને આ રાતી રાણ જેવી રતનમામી જ તને પાણી પાય એવાં વ્રત પણ તારે વાલેજીએ જ લેવરાવ્યાં હશે, ખરું ?'
'રતનમામી શ્રીહરિને વહાલાં હતાં. કેમકે મુજ સરીખાં એ પણ દીન હતાં, હરિનાં શરણાગત હતાં.'
'ને તુજ સરીખાં પાપી પણ હતાં, એમ કહી દે ને ?'
'પાપી નહોતાં. પાપીને પુનિત કરવાવાળાં હતાં. મારે વાલેજીએ જ મારી સારસંભાળ લેવા એને મેલ્યાં હતાં.'
'એનું મોત કેમ થયું ? તારો વિરહ સહી ન શક્યાં એથી ને ?'
'વાલાજીએ પોતાને શરણે બોલાવી લીધાં હશે. મને પાપીને રઝળતો