પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ સેવકો પાસે અપેક્ષા એવી રાખવામાં આવશે કે તે બધા કાયદેસર નોંધાયેલા મતદારો પર પોતાના કામથી પોતાનો પ્રભાવ પાડી તેમની જ પરિસ્થિતિમાં ને તેમના જ વાતાવરણમાં તેમની સેવા કરશે. ઘણાં માણસો ને જૂજવા પક્ષો એ મતદારોનો ચાહ મેળવવાને નીકળી પડશે. જે સૌથી ઉત્તમ હશે, ઉત્તમ સેવા કરશે, તે ફાવશે. આ રીતે જ કૉંગ્રેસ પોતાનો અજોડ પ્રભાવ જે આજે ઝપટાબંધ ઓસરતો જાય છે તેને સાચવી શકશે અને એ સિવાય બીજે કોઈ રસ્તે પોતાનું સ્થાન સાચવી નહીં શકે. ભલે અજાણપણે હોય પણ ઠેઠ ગઈ કાલ સુધી કૉંગ્રેસ રાષ્ટ્રની સેવક હતીૢ ખુદાઈ ખિદમતગાર હતી. હવે મન સાથે તે નિશ્ચય કરે અને તેના સભ્યો દુનિયાને જાહેર કરે કે અમે ખુદાઈ ખિદમતગારો છીએ, ઈશ્વરન સેવકો છીએ, એથી વધારે નથી અને જરાયે ઓછા નથી. કૉંગ્રેસના અંગરૂપ સેવકો એટલે કૉંગ્રેસ પોતે સત્તા કબજે કરવાના બેહૂદા ઝઘડામાં સંડોવાશે તો એક દિવસ તેને એકાએક ભાન થશે કે તેની હસ્તી ભૂંસાઈ ગઈ છે. ઈશ્વરની રહેમ છે કે પ્રજાની સેવાના ક્ષેત્રમાં કામ કરનારી હવે તે એક માત્ર સંસ્થા રહી નથી.

ઉપર મેં દૂરના ભાવિનો નક્શો ખેંચવાનો પ્રયાસ કર્યો છે. મને વખત રહેશે ને મારી તબિયત સારી રહેશે તો પોતાના માલિકો એટલે કે હિંદના સર્વ પુખ્ત ઉંમરના સ્ત્રીપુરુષોની આખીયે વસ્તીનો આદર તેમ જ ચાહ મેળવવાને રાષ્ટ્રના સેવકો પ્રત્યક્ષ અમલી કાર્ય શું કરી શકે તેની ચર્ચા हरिजन માં કરવાની હું ઉમેદ રાખું છું.

નવી દીલ્હી, ૨૭-૧-'૪૮
(हरिजनबंधू માંથી)
મોહનદાસ કરમચંદ ગાંધી