પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પાછા ફરવાના માર્ગ પર આવેલા શિવાલયના ઓટલા પર જઊને હું બેઠો. પાસે અવતાંપરિચારિકાઓએ મને જોઈ મારા ભણી રોષભરી દૃષ્ટિ કરી.
દુર્ગેશ : અને એ યુવતીએ ?
જગદીપ : એ તો

(ઈન્દ્રવિજય)

ચાલી ગઈ મુજ આગળથી મુખ રાખિ નિચું, હઇયું ઉભરાતું,
થોભિ અગાડિ જઈ લટને અમથી જ સમારિ કરી મુખ પાછું;
ને જરિ ચોરવિ દૃષ્ટિ કરી મુજ સામિ, પછી, મુખને મલકાવ્યું,
પાછિ ફરી પછિ ચાલિ ગઈ, દઈ સંશય-શું કંઈ સ્વપ્ન જ આવ્યું ? ૭૦

દુર્ગેશ : અને, હવે સ્વપ્નાવસ્થા ચાલે છે કે સંશયાવસ્થા ?
જગદીપ : મારી વિહ્વલતા હાસ્યપાત્ર ભાસતી હશે, પણ તેનો ઉપાય એ યુવતીના પુનર્દર્શન વિના બીજો એકે નથી.
દુર્ગેશ : એનું નામ કાંઈ જાણવામાં આવ્યું ?
જગદીપ : એના નામથી શબ્દથી મારા કર્ણ ધન્ય થયા નથી. એની એક પરિચારિકાનું નામ લેખા છે.
દુર્ગેશ : સ્વામીથી સેવક ઓળખાય કે સેવકથી સ્વામી ઓળખાય ?
જગદીપ : જગતના બધાં સિદ્ધાંતો મારી સ્મૃતિમાંથી ખસી ગયા છે. મને યાદ આવે છે કે લેખાએ એને 'કુંવરીબા' કહી હતી.
દુર્ગેશ : 'કુંવરીબા'? અહીં તો કોઈ કુંવરી નથી. પર્વતરાયને પ્રથમનાં રાણીથી એક કુંવરી હતી. તે તો કેટલાંક વર્ષ પર કાંઈ ભેદભરેલી રીતે ગુજરી ગઈ. અને 'કુંવરી' કહેવાય એવી કોઈ બાલા અહીં છે જ નહિ.
જગદીપ : ત્યારે આ મહેલમાં કોણ રહે છે ?
દુર્ગેશ : એ મહેલમાં કોઈ કાયમ રહેતું નથી. એ મહેલ
૧૨૦
રાઈનો પર્વત