પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રાણીસાહેબના ખાસ તાબામાં છે, અને તેઓ કોઈ વખત અહીં આવે છે. એમની રજા સિવાય કોઈ એ મહેલમાં જઈ શકતું નથી. એ મહેલની વ્યવસ્થા અને ખર્ચ પણ લીલાવતીને હસ્તક છે. મંત્રીશ્વરને પણ એ સંબંધે કાંઈ વ્યવહાર કરવાનો નથી; બધું લીલાવતી જ કરે છે. એ યુવતી તે લીલાવતી તો નહિ જ?
જગદીપ : બેશક નહિ. એનું વય લીલાવતીથી કાંઇક ઓછું છે, પણ એનું સૌન્દર્ય લીલાવતીથી સહસ્ત્રગણું વધારે છે. લીલાવતીને મેં જોઈ ત્યારે તેનું સૌન્દર્ય મને અનુપમ લાગેલું, પરંતુ હવે મને સમજાયું કે ઉપમાનોના વિશાળ સંગ્રહનો ચિત્તમાં સંચય કર્યા વિના 'અનુપમ', 'અતુલ્ય', 'અપૂર્વ', સર્વોત્કૃષ્ટ', 'અલૌકિક' એવાં વિશેષણો વાપરવા એ માત્ર મૂર્ખતાનો આડંબર છે; પણ એ અજ્ઞાત સુન્દરીનું વર્ણન કરવા માટે વિશેષણ કે ઉપમાનોની જરૂર જ નથી.

શું ધરતી કે શું પાણિ કે શું પવન કે શું માનવી,
જે જે ઘડીએ ધન્ય થાતું એહના સંસર્ગથી
તે તે ઘડીએ દાખવે સૌન્દર્ય પોતાનું ઉંડુ,
ને તૂટતો સંસર્ગ જ્યાં કદ્રપ ત્યાં તે થઇ જતું. ૭૧

એ નિશાની એને ઓળખવાને બસ છે.

દુર્ગેશ : એવી કોઇ સ્ત્રી આ દેશમાં વસતી હોવાનું કમલા જાણે છે કે કેમ તે હું પૂછી જોઈશ. પુરુષોને ખબર ન હોય, પણ સુન્દર સ્ત્રીની સ્ત્રીઓને ખબર ન હોય એમ બનતું નથી. પણ અત્યારે આપણે બન્ને તપાસ કરીએ. કોઈ નોકર ચાકરો મહેલના કોટમાં જતા આવતા નજરે પડ્યા છે?
અંક છઠ્ઠો
૧૨૧