પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



લીલાવતી : મંજરી ! તારો શો મત છે ?
મંજરી : બા સાહેબ ! રાજકાજમાં મારી શી અક્કલ ચાલે ! પણ, પુરોહિત મહારાજ આપના પિયેરના છે એટલે અંગનું માણસ છે, અને સારી સલાહ જ આપે. (સ્વગત) આ તો બાજી કાંઈ ઠીક થતી જણાય છે. છેવટ ઉપાય પર નહિ જવું પડે.
લીલાવતી : શીતલસિંહ ! તમે પણ આ સલાહ આપો છો તે માત્ર મારા અને રાજના હિત માટે ?
શીતલસિંહ : રાણીસાહેબ ! મારો બીજો શો હેતુ હોય ? (સ્વગત) આખરે આપણું કામ પાર પડવા આવ્યું ખરું !
લીલાવતી : બસ ! તમારા ત્રણેના દંભની નિર્લજ્જતા હવે હું વધારે વાર સહન કરી શકું તેમ નથી. 'નિર્દોષ', 'નિઃસ્વાર્થ', નિષ્પક્ષપાત,' એ શબ્દો તમારા મુખમાંથી નીકળતાં કલુષિત થાય છે. તમે શું એમ માનો છો કે તમારા ત્રણેની ખટપટથી હું અજાણી છું ? મારા રાજ્યના મંત્રીઓ શું એવા નિર્માલ્ય છે કે કાવતરાં તેમની ભૂલમાં ચાલ્યાં જાય ? તમારી એવી ધારણા હતી કે છેવટે મારો એકાએક વધ કરી મારા શબને ત્વરાથી બાળી મૂકવું અને એવી વાત ચલાવવી કે મેં ગુપ્ત રીતે આ પુરોહિત સમક્ષ શીતલસિંહના પુત્રને દત્તક લીધો અને પછી હું મારા પતિ પછાડી સતી થઈ - એ તમારો સંકેત પણ મારા કુશલ મંત્રીશ્વરથી અજાણ્યો નથી રહ્યો. એમની સાવધાનતા તમારી કલ્પનામાં નથી. દાસી ! બહારના ખંડમાં ભગવન્ત બેઠા છે. તેમને બોલાવી લાવ.
દાસી : જેવી આજ્ઞા.
[દાસી જાય છે.]
 
શીતલસિંહ : (આશ્ચર્યથી) ભગવન્ત અત્યારે અહીં !
લીલાવતી : સર્પને સમીપ આવવા દેતાં સર્પના પ્રતિકારને સમીપ
અંક સાતમો
૧૬૫