પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१–सती अंजना

પ્રાચીન કાળમાં મહેંદ્રપુર નામના નગરમાં મહેંદ્ર નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેની રાણી હૃદયસુંદરીના ગર્ભમાં અંજનાનો જન્મ થયો હતો. ઘણા પુત્રો પછી એ કન્યાનો જન્મ થયેલો હોવાથી તે માતપિતાની બહુ લાડકી હતી. એમણે એ કન્યાને ઊંચા પ્રકારનું શિક્ષણ આપ્યું હતું. એ શિક્ષણના પ્રતાપે અંજનાસુંદરીમાં દેહના સૌંદર્યની સાથે સદાચારનું તેજ પણ આવ્યું હતું.

ધીમે ધીમે બાળાએ યૌવનના આંગણામાં પ્રવેશ કર્યો.

“ભર જોબનમાં તે થઈ, કુંવરી ચતુર સુજાણ;
જૈન માર્ગમાં દીપતી; બોલે મધુરી વાણ.”

માતપિતાને ચિંતા થવા લાગી કે આવી રૂપ, ગુણ અને યૌવનસંપન્ન કન્યાને હવે પરણાવવી જોઈએ.

“એ બેટી મુજ વલ્લરી, કોને પરણાવું જોય ?
ઘર વર સરખું જો મળે, તો જગમાં યશ હોય.”

રાજાએ પોતાના મિત્રો અને પ્રધાનોની સલાહ પૂછી અને આદિત્ય નગરના વિદ્યાધર રાજા પ્રહ્‌લાદના પુત્ર પવનંજય સાથે કન્યાનું લગ્ન કર્યું.

લગ્ન તો થયાં, પવનંજય અંજનાના ગુણોની કદર કરી શક્યો નહિ. તેના પ્રેમને પારખી ન શક્યો અને લગ્ન કર્યા પછી તરતજ તેનો અનાદર કરવા લાગ્યો. પરણ્યા છતાં પતિસુખથી વંચિત બનેલી અંજના ચિંતા અને દુઃખમાં દિવસ નિર્ગમન કરવા લાગી. કવિ કહે છે કે:—