“પ્રીતમ મન મેલ્યા પખે, આદર ન કરે ઉર;
દોષ ગાઢ કરી દાખવે, સાસુ સસરા જોર.
આદર વિણ દિન અંજના, કાઢે ઘણો કલેશ;
માતપિતા મન મૂંઝવે, વિણ અપરાધ વિશેષ.
દિન પલટ્યો પલટ્યા સજ્જન, ભાંગી હૈયાની હામ;
જેના કરતી ઉભરા, તે નવ લે મુજ નામ.
પ્રીતમવિણ વિલખી ફરે, જલ વિણ નાગર વેલ;
વણઝારાની પોઠ જ્યું, ગયો ધુખંતી મેલ.”
આ પ્રમાણે પતિપ્રેમથી રહિત બનીને અંજના વલખાં મારતી હતી. પોતાને અન્યાય કરનાર પતિ પ્રત્યે એને રોષ નહોતો. પતિને જતાં આવતાં એ મહેલની બારીએથીજ જોઈને સંતોષ માનતી.
એના માતાપિતાને પણ એ વાતની ખબર પડી અને તેમણે પુત્રીને પિયેર તેડાવી; પણ કુલવધૂનો ધર્મ સુખેદુઃખે સાસરામાંજ પતિની છાયામાંજ જીવન વ્યતીત કરવાનું છે એમ ધારીને એણે પિયર જવાનું પસંદ ન કર્યું અને કહેવરાવ્યું કે:—
“સ્વામી રે મન માન્યાં નહિ, હું તો પિયેર આવીને શું કરૂં વાત તો.”
આ પ્રમાણે વિરહિણીનાં બા૨ વર્ષ વહી ગયાં. એ સમયમાં, રાવણને વરુણની સાથે યુદ્ધ જામ્યું અને રાવણનો દૂત રાજા પ્રહ્લાદની મદદ માગવા સારૂ આવ્યો. કુમાર પવનંજય પોતાની વીરતા દેખાડવાનો આ શુભ પ્રસંગધારીને યુદ્ધમાં જવા તૈયાર થયો.
માતપિતાને પગે લાગીને એ આયુધશાળામાં ગયો. ત્યાં આગળ એને નીરખવા પતિવ્રતા અંજના ઊભી હતી; પરંતુ કઠોર હૈયાના પવનંજયે એ સુંદરીના સામુંયે ન જોયું એટલુંજ નહિ:—
“દૂર ઠેલી તે અલગી પડી, મારગ મેલીને ચાલ્યો છે સાથ તો.”
સતી અંજનાને આથી ઘણો ખેદ થયો.એને લાગ્યું કે, “આજે તો સ્વામીએ મને પાણીથી પણ પાતળી કરી નાખી. સાસુસસરાના દેખતાં મારૂં અપમાન કર્યું. લાંબા પ્રવાસે જાય છે, યુદ્ધમાં જાય છે, છતાં મારી સામે અમીની દૃષ્ટિથી જોયું સરખું પણ નહિ. હાય ! હવે મારે શું કરવું ? પ્રભુજ મારો એક માત્ર આધાર છે. હું સદાચારપૂર્વક મારૂં જીવન વ્યતીત કરીશ. સંયમનું વ્રત લઈશ અને ભગવાનના નામનો જપ કરીશ.” અને એજ પ્રમાણે ઉચ્ચ માર્ગે તેણે પોતાના દુઃખી જીવનને વાળ્યું.