પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
અહલ્યાબાઈ



હતાં, તેજ પ્રમાણે દુષ્ટોનું દમન કરવાનો પ્રસંગ આવતાં તેજસ્વિતા અને દૃઢતાનો પરિચય આપવાનું એ ચૂકતાં નહિ

મધ્ય હિંદુસ્તાન અને રજપૂતાનામાં ભીલ નામની અસભ્ય જંગલી પહાડી જાતિ છે. એ લોકો ઘણા તોફાની હોય છે. એ લોકોને પોતાના કાબૂ તળે લાવવા એ ઘણું મુશ્કેલ કામ છે. ભીલ લોકોના ગામમાંથી જે લોકો આવજા કરે તેમની પાસેથી તેઓ એક વેરો ઉઘરાવતા હતા. એને “ભીલકોડી” કહેતા. ઘણાં વર્ષોથી ભીલકોડીનો રિવાજ ચાલ્યો આવતો હતો, એટલે અહલ્યાબાઈએ એમાં કાંઈ વાંધો લીધો નહિ, પણ ભીલો આ મનમાન્યો વેરો ઉઘરાવીને બેસી રહેતા નહિ. તેઓ મુસાફરોને લૂંટી લેતા અને ગરીબ નિર્દોષ રૈયતને ઘણું સતાવતા. આ બધો અત્યાચાર અહલ્યાબાઈથી સહન થયો નહિ. ભીલોને હરાવીને પ્રજાનું સંરક્ષણ કરવાનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો. પહેલાં તો એમણે દયા આણીને, સ્નેહપૂર્વક તેમને સમજાવીને ઠેકાણે લાવવા માટે ઘણોએ પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ; એટલે અહલ્યાબાઈએ એ ભીલ લોકોને સખ્ત સજા કરીને શાંત કરવાનો ઉપાય અજમાવ્યો. ઘણા ભીલોને દેહાંતદંડની સજા થઈ. ભીલોનાં ગામો ઉજ્જડ કરી નખાવ્યાં, એટલે ભીલ લોકો નરમ પડ્યા અને અહલ્યાબાઈ પાસે માફી માગવા લાગ્યા. અહલ્યાબાઈએ કાયદો કર્યો કે ભીલ લોકોએ આપણા જૂના રિવાજ પ્રમાણે “ભીલકોડી” ઉઘરાવવી, પણ લૂંટફાટ ન કરવી. ખેતી અને મજૂરી કરીને પોતાનો નિર્વાહ કરવો. એણે ભીલ લોકોને એ પણ કહી દીધું કે, “તમારા ગામમાં કોઈ મુસાફર લૂંટાશે તો તેની જવાબદારી તમારે માથે છે.” ભીલ લોકો ત્યારથી અહત્યાબાઈના તાબેદાર થઈને રહ્યા.

અહલ્યાબાઈ નારી હોવા છતાં પણ, અત્યાચારી અમલદારોને વાજબી સજા કરતાં જરા પણ બીતાં નહિ. જે શક્તિશાળી મોટા અમલદારો તેમને રાજ્યના કામમાં મદદ આપતા તેમના ઉપર એ પ્રસન્ન રહેતાં, પરંતુ તેમને હાથે પણ જો કોઈ જુલમ થાય તો એમને સજા કરવાનું ચૂકતાં નહિ; એટલે સુધી કે તુકોજી કે જે તેમને પુત્ર સમાન પ્રિય હતો અને જે તેમની ગાદીનો ભવિષ્યનો વારસ હતો, તેના તરફંથી પણ કોઈ કાયદાનું ઉલ્લંઘન થાય તો અહલ્યાબાઈ તે સહન કરી શકતાં નહિ.