મહાન લેખક
‘પ્રભુ ! મને મહાન બનાવ.’
એ પ્રાચીન કાળની જ માગણી નથી. આજ પણ માનવી એ જ માગે છે. કદાચ પ્રભુમાં શ્રદ્ધા ન હોય તો કુદરતને એ સ્થાને બેસાડી માનવી વર માગે છે :
‘હે કુદરત ! મને મહાન બનાવ.’
ઈશ્વરમાં સમજ ઓછી પડે એટલે માનવી કુદરતને ઓળખવા જાય છે. કુદરત ને ઓળખતાં એ પાછો ઈશ્વરને શોધવા મથે છે. ઈશ્વર અને કુદરત માનવીની ઈચ્છા પ્રમાણે કાયાપલટ કરે છે અને માનવી માગે છે એ આપે છે.
સનાતને વર માગ્યો :
‘હે પ્રભુ – કુદરત ! મને મહાન બનાવ.’
પ્રભુએ કે કુદરતે તેને પૂછ્યું :
‘કઈ બાબતમાં તને મહાન બનાવું ? મહત્તાનાં તો અનેક ખાનાં છે.'
‘તે હું નક્કી કરીશ. હમણાં તો મને વરદાન જોઈએ કે જેથી હું મહાન બનું.’ સનાતને કહ્યું.
પ્રભુએ કુદરતે એને વર આપ્યો : ‘તથાસ્તુ!’
સનાતનની ચારે બાજુએ મહત્તાનાં દ્વાર ખુલ્લાં થઈ ગયાં, અને મહત્તાનો વિસ્તાર અને વૈવિધ્ય જોઈ તેને ભારે મૂંઝવણ થઈ.
‘આવડો મોટો ભંડાર ! મારાથી કેમ લેવાશે ? કેટલું લેવાશે ?’
મહત્તાના એક ભવ્ય વિભાગ તરફ એણે નજર કરી. કીર્તિ