પાદપૂર્તિ
“બાપુ, જોગાજીનો નોકર છું.”
“નહિ, તું રજપૂત નહિ, તું સાચું બોલ. હું તને માફ કરીશ, સરપાવ આપીશ.”
“બાપુ, ચારણ છું.”
“તું ચારણ ! મારા સીમાડામાં ચારણજાત જીવી શકે નહિ! તું ક્યાંથી ?”
“ઠાકોર !” જોગાજી બેાલ્યા : “ દેવીના દીકરાએાને બ્રાહ્મણોની શિખવણીથી તમે દેશવટો દીધો છે. પણ મારે તો જીવ સાટેનું નીમ છે કે દેવીપુત્રને રોજ મારા ભાણામાં જમાડવા. તમારી ધાકે આ છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું કપટ ન ચાલ્યું : સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો; જોગમાયા એ અભાગિયાની જીભ ઉપર ચડી બેઠી. એના માથે કાળનું ચકકર – ”
“બાપુ !” ચારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને તાડૂકી ઊઠયો : “બાપુ ! સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂલ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રીવટના નામ ઉપરથી હું ઓળઘોળ કરું છું. કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી; પણ આજ તો તારા એક ચરણને સામે પડઘા ન પડે, તો જોગમાયા લાજે. મારું જીવતર તો સાર્થક થઈ ગયું. હવે સુખેથી મારી નાખો.”
કોંઢના ઠાકોરે બાહુ પસારીને ચારણને બાથમાં લીધો.