પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१३४–वीरकन्या ताजकुंवर

રમણી કાનપુરની પાસે ગંગાકિનારે વસેલા કિસોરા નામના ગામના નાના પણ સ્વતંત્ર ઠાકોર સજ્જનસિંહની કન્યા હતી. તેના ભાઈનું નામ લક્ષ્મણસિંહ હતું. તાજકુંવર સૌંદર્યની પ્રતિમા હતી. તેના સૌંદર્યની પ્રશંસા ચારે તરફ પ્રસરી રહી હતી. એ સમયે મુસલમાન બાદશાહોનો પ્રવેશ હિંદુસ્તાનમાં થઈ ચૂક્યો હતો. ગંગાની આસપાસના સુંદર મનમોહક પ્રદેશ ઉપર તેમણે અધિકાર મેળવવા માંડ્યો હતો. તાજકુંવરના સૌંદર્યની વાત મુસલમાન બાદશાહને કાને પણ પહોંચી અને તેણે તેને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો. એ જાણતો હતો કે સજ્જનસિંહ ખરો વીર પુરુષ છે. જબરદસ્તીથી માગણી કરવા જઈશ તો એ કદી પોતાની કન્યા આપવાનો નથી; ઊલટું મેં ઘણી સત્તા હિંદુસ્તાનમાં જમાવી છે, તેનો પણ નાશ થશે, એટલા માટે જ્યાંસુધી પોતાની સત્તા ઘણી પ્રબળ ન થાય ત્યાં સુધી એવું સાહસ કરવાનું તેણે મુલતવી રાખ્યું.

સજ્જનસિંહે પઠાણો સાથે અનેક વાર યુદ્ધ કરીને કિસોરા સંસ્થાનનો બચાવ કર્યો હતો. એક વખત કાનપુર જીતવા જતી ફોજમાંની અડધી ટુકડીએ નાનકડા કિસોરા ઉપર હુમલો કર્યો હતો, પણ સજ્જનસિંહના પરાક્રમ અને સાહસ આગળ એ ગંજાવર સૈન્યનું પણ કાંઈ વળ્યું નહિ. આ પ્રમાણે કિસોરાનું નાનું રાજ્ય પોતાની સ્વતંત્રતા ટકાવી શક્યું હતું. એ રાજ્ય નાનું પણ ફળદ્રુપ હતું, કારણકે ગંગા નદીનો જળપ્રવાહ કિસોરાની ઘણીજ પાસે થઈને વહેતો હતો, એને લીધેજ કિસોરાની સમૃદ્ધિ હતી.

સજ્જનસિંહે કિસોરા શહેરને એક મજબૂત કોટ બંધાવ્યો હતો અને લશ્કરી બંદોબસ્ત પણ ઘણો સારો રાખ્યો હતો.

૩૦૦