१५५—बांका
એ એક ગુજરાતી કુંભારની પત્ની હતી. એના પતિનું નામ રાંકા હતું. બન્ને જણાં પ્રભુભક્ત હતાં; પંઢરપુરના વિઠોબા ઉપર ભક્તિ હોવાથી ત્યાંજ નિવાસ કરતાં હતાં.
એક દિવસે રાંકાએ કેટલાક ઘડા ઘડીને ઘરમાં તૈયાર રાખ્યા. એવામાં એક બિલાડી વિયાઇ અને એક ઘડામાં તેણે પોતાનાં બચ્ચાં મળ્યાં. કુંભારને તેની ખબર નહોતી, એટલે એણે તો બધા ઘડાને નિભાડામાં ચઢાવ્યા. એટલામાં બિલાડી આવી અને ઘરમાં ચારે તરફ બચ્ચાંઓને ખોળવા લાગી. પછી તે રોતી રોતી, નિભાડા તરફ ગઈ. હવે રાંકાને જણાયું કે, એમાં બિચારી બિલાડીનાં બચ્ચાં રહી ગયાં હતાં; પણ તાપ એટલા જોરથી સળગતો હતો કે, એમાંથી બચ્ચાંને ઉગારવાં એ અસંભવિત હતું. એના શોકનો પાર રહ્યો નહિ; માથું કૂટવા લાગ્યો અને પત્ની બાંકાને બોલાવીને તેની સલાહ પૂછવા લાગ્યો. બાંકાને પ્રભુ ઉપર અથાગ શ્રદ્ધા હતી. તેણે કહ્યું: “બધાંને બચાવનાર પ્રભુ શ્રીકૃષ્ણ છે; આપણે એમનીજ પ્રાર્થના કરવી જોઈએ, લાક્ષાગૃહમાંથી પાંડવોને એમણે જ બચાવ્યા હતા. પ્રહ્લાદને સળગતી આગમાંથી ઉગારનાર પણ એજ હતા, માટે ચાલો આપણે પણ ભગવાનની એકચિત્ત પ્રાર્થના કરીએ કે, એ આપણાં બિલાડીનાં બચ્ચાંને બચાવે.”
બે દિવસ અને બે રાત એમણે ભગવાનનું કીર્તન સાથે મળીને કર્યું. ત્રીજે દિવસે નિભાડો પાડ્યો અને આગ શાંત થઈ, ત્યારે બન્ને જણાં બિચારાં નિર્દોષ બચ્ચાંઓની શી દશા થઈ છે, તે જોવા આતુરતાથી ગયાં. ભગવાનની લીલા વિચિત્ર છે. એમણે જોયું કે, બધા ઘડા પાકી ગયા છે, પણ જે ઘડામાં બચ્ચાં હતાં, તે ઘડો એવો ને એવો કાચો છે, આગે જાણે એને સ્પર્શ જ નથી