પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨


(ઉ) લૌકિક લિપિને આધારે ગુજરાતી શાબ્દોમાં ઈ હમેંશા દીર્ઘ કરવી અને ઉ હમેશા હ્રસ્વ કરવું. આ નિયમમાં વ્યગ્રતા ન આવે માટે લોકલિપિમાં દીર્ઘ ઊ સમેત ર્ કરી લખાતા રૂને પણ રુ લખવું. શ. અને ષ ને ઠેકાણે લોકલિપિમાંનો શ લખવો. આ વિષયમાં શુદ્ધાશુદ્ધના કાંઈ પણ તર્કવિતર્ક ન કરવા.

(એ) જે શબ્દોમાં હ સર્વત્ર બોલાતો હોય ત્યાં લખવો અને હ પ્હેલાંનો સ્વર ન બોલાતો હોય ત્યાં તે સ્વર ન લખવો. જેમકે, ત્હારું, ર્‌હેવું, ઇત્યાદિ તેમ જ મ્હેં, ત્હેં વગેરેમાં “હેં” ઠેકાણે “એં” કરી નાંખવાનો પ્રચાર ઉચ્ચારવિરૂદ્ધ છે તે ન સ્વીકારતાં (અ) નિયમથી મ્હેં, ત્હેં લખવું. પણ અમારા, અમ્હારા, એવા બે ઉચ્ચાર થાય છે તો (આ) નિયમ પ્રમાણે "અમારા" લખવું.

(ઓ) પદ્યલેખકો હ્રસ્વ દીર્ઘ ઉચ્ચારવાની સંજ્ઞાઓ (– તથા–) ભલે વાપરે, પણ લેખન પદ્ધતિ બદલવાની તેમને અગત્ય નથી. માત્ર “ ર્‌હેવું ” વગેરેમાં “ર્” ને સ્થાને “૨” વાપરવા, એટલે તેમાંનો “અ” વિકલ્પે લખવા ન લખવા, સ્વતંત્રતા લેવી હોય તો તેઓ ભલે લે પણ ગદ્યમાં તે સ્વતંત્રતાનું કારણ નથી.

આ નિયમો થોડા, સ્હેલા, અપવાદ વિનાના, નિશ્ચય અને સર્વથી સમજાય તથા નિત્ય પાળી શકાય એવા લાગે છે. પછી તે કોઈને ગમે ન ગમે એ જુદો પ્રશ્ન છે.


મુંબાઈ
શ્રાવણમાસ,
વિક્રમાર્ક ૧૯૫૨.
}
ગો. મા. ત્રિ.