પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૧


બે વાર વાંચી, બે વાર વંચાતાં મ્હોંયે ચ્હડી, મ્હોંયે ચ્હડતાં તે ગઝલોવાળો પત્ર નિરર્થક થયો, નિરર્થક થતાં તે પાસે રાખવો એ વિશુદ્ધિમાં ન્યૂનતા રાખવા જેવું લાગ્યું, એ ન્યૂનતા મટાડવા પત્ર ફાડી નાંખ્યો, એ ફાડતાં ફાડતાં વિચાર થયો કે સરસ્વતીચંદ્રના હાથનો એક પણ પત્ર હવે મ્હારી પાસે શું કરવા જોઈએ, એ વિચાર થતાં તેના સર્વ પત્ર ક્‌હાડી તેનો નાશ કરવાનો નિશ્ચય કર્યો, નિશ્વય થતાં હૃદય ફાટતું – ચીરાતું – લાગ્યું, હૃદય ચીરાતાં તેને સાંધતી હોય તેમ સર્વ કાગળો હૃદય સરસા ફરી ફરી ચાંપ્યા-ચુમ્બ્યા અને અશ્રુપાતથી ન્હવરાવ્યા, અને ન્હવરાવી ન્હવરાવી પ્રિયજનનું શબ હોય તેમ તેમને ખડકયા – અને દીવાવડે અગ્નિદાહ દીધો ! ! ! એ અગ્નિદાહ દેવાતાં હાથમાં ન રહેલા અંતઃકરણે ઠુઠવો મુક્યો, બળી રહેલા સર્વ પત્રોની ભસ્મ એકઠી કરી તેને શોકમન્દ બનેલા હાથે કાચની એક સુંદર શીશીમાં સંભાળથી રજેરજ ભરી, શીશી પર કાગળ ચ્હોડી, તેપર “મર્મદારક ભસ્મ' એવું નામ લખ્યું, શીશી પણ છાતીસરસી ચાંપી - ચુમ્બી - ટેબલપર નિત્ય દૃષ્ટિચે પડે એવે સ્થાને મુકી, અને પળવાર આંસુ ને સુકવી શીશી ભણી જોઈ ૨હી. અંતે વિચારમાં પડી; ધીમે ધીમે પાછી ફરી; મહાપ્રયાસે પલંગ પર ચ્હડી; પળવાર ત્યાં બેસી રહી; પછી ઢળી પડી સુતી; અને ખેદમાં ને ખેદમાં રાત્રિના ત્રણ વાગતાં, સરસ્વતીચંદ્રનો હવે સનાતન ત્યાગ કર્યો ગણી, હૃદયનો ભાર હલકો કરી, ત્યાગનો ને ત્યાગનો જ વિચાર કરતી કરતી, અકલ્પ્ય આત્યમપ્રયાસથી વિશુદ્ધ બનવા જતાં ઈશ્વર કૃપાયે મહાજય પામેલી, ભાગ્યશાળી પવિત્ર ઉત્કૃષ્ટ સતી કુમુદસુંદરી તપને અંતે આનન્દસમાધિ પેઠે જાતે આવેલી અસ્વપ્ન નિદ્રાને વશ થઈ.



પ્રક૨ણ ૨૦.
૨જા લીધી.

કોઈ પ્રતાપી સત્ત્વ પોતાની પાસેથી જતું રહેતાં મન છુંટું થાય તેમ કુમુદસુંદરી ગઈ કે સરસ્વતીચંદ્ર શાંત થયો. તેની પાછળ જોઈ રહ્યો અને બારણું બંધ થયું કે 'હાશ' 'અરેરે' કરી, બેઠો હતો તે પથારીમાં પડ્યો. આ શું સ્વપ્ન થઈ ગયું ? કુમુદસુંદરી આવી શી? મૂર્છા શી પામી? બોલી શું ? ગઈ શું ? તેની અવસ્થા વસ્તુતઃ કેટલી દયાપાત્ર