પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮

મ્હારી પણ એમને ચિંતા ! ને કમાઇ ટુંકી ને ખરચ મ્હોટું ! આ બધી ચિંતા મટે તો પછી એમની ચિંતા ઘટે ! એટલું સરખું મ્હારાથી નહી થાય તો પછી હું શા કામની ?”

“વડીલનો સ્વભાવ આકળો છે, વિવાહનું વર્ષી કરી મુકે છે – બાકી આ આખા ઘરમાં મ્હારી દયા જાણનાર એમના વગર બીજું કોણ છે ? દયા જણાવીને શું કામ છે? મ્હારે શાલપામરી એાછાં જ હોડવાં છે; જે કરવું તે परमेश्वरप्रीत्यर्थम् ! મ્હારા ચતુરનું કુટુંબ તે મ્હારું કુટુંબ ! ગમે તેવું પણ એમનાથી પોતાનું કુટુંબ કાંઇ ક્‌હાડી નંખાવાનું છે ? માટે એમનું તે મ્હારું ! મ્હારી ચિંતા તો વડીલ કરશે – એ પોતે કરશે – પણ એમની ચિંતા હું શી કરવાની હતી ? અત્યારે કેટલી કેટલી ચિંતા કરી થાક્યા પાક્યા સુતા હશે ?”

“ખરે ! આકળો સ્વભાવ માણસને રાક્ષસ જેવું કરી મુકે છે ! ચંડિકા ભાભીએ આકળપણમાં સુંદરભાભીને કચરી નાંખ્યાં ને જેઠને શાંત કરી દીધા ! અરેરે ! એનો યે શો વાંક ક્‌હાડિયે ? આવા ધણીથી એને કેટલું દુઃખ? એની આંખો અને એની છાતી કેમ કહ્યું કરે ? જેઠને પણ હદ છે કેવું કામાંધ માણસ ! શી લંપટતા? શી નિર્બળતા ? હવે કેટલા પસ્તાતા હશે ? કેટલી શિક્ષા ખમી ? કેટલી શિક્ષા ખમશે ? કામવિકાર બહુ નઠારો પદાર્થ છે એમાં કાંઇ વાંધો નહી – એના આગળ માણસનું જોર જખ મારે છે. ઓ મ્હારા ચતુર ! જયાં ત્યાં એક ઘડીજ એકલાં હતાં કની ? ખરે ! સુવાવડમાં વિયોગ પાળવા એ લોકાચાર ખોટો તો નહી, પાણીથી ભરેલું વાદળું એકલું ગાજીને શાંત નથી થતું તેમ એકાંત મળી એટલે એકલી વાતોથી જંપ નથી વળતો !”

“સર્વથા વિકારમાત્ર ખોટા છે – પછી તે કામ હો કે ક્રોધ હો કે બીજો ગમે તે વિકાર હો ! વિકારનું બળ ફાવે એટલે માણસ માણસ મટી પશુ થઇ જાય છે અને પોતાનો કે પારકો સ્વાર્થ કે પરમાર્થ કાંઇ સુઝતો નથી અને માણસ કેવળ આંધળું ભીંત થઇ જાય છે. નીકર સુંદર કોણ છે તે જેઠને ન સુઝે ? બીચારી સુંદરની અવસ્થા મ્હારા કરતાં સોગણી ભુંડી. એ શું કાંઈ માણસમાં નથી ? એને શું ન જોઇયે ?– પણ ઈશ્વરે આપેલું લેઇ લીધું ! એના કરતાં - અને બે નણંદો કરતાં પણ મ્હારાપર ઈશ્વરની કૃપા છે - નીકર, ઓ મ્હારા ચતુર – તમારા વિના –”

“તમારા વિના” એ અપશકુનભરેલો શબ્દ – અપશકુનભરેલો