પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખાચર આપણા કરતાં વધારે મદદ આપે છે. સામત અને આપણે એક થઈ જઈએ તો ખાચરની મદદ વધારે થશે.”

વાઘજી પોતાના ભાઈના સામું ગુંચવારા ભરેલી નજરથી જોઈ રહ્યો. મણિરાજ રત્નનગરીનો રાજા હતો અને સામત મુળુ એની સામે બ્હારવટે નીકળેલો હતો. કુમુદસુંદરી વિદ્યાચતુરની દીકરી એટલે એને પકડવાથી સામત અને સુરસંગ બેનો સંબંધ ઘાડો થાય એ સ્પષ્ટ હતું. પરંતુ પ્રતાપની સૂચનાનું ખરું કારણ આ ન હતું, તે વિષયી હતો અને કુમુદને પકડવામાં પિતાનો સ્વાર્થ પૂરવા કરતાં પોતાની વાસના પૂરવાની ઈચ્છા તેને વધારે હતી. સુરસંગ વાઘજીનું મન સમજી ગયો, પરંતુ તેનો પોતાનો વિચાર કંઈ જુદોજ હતો.

સુરસંગ એ જડસિંહનો ભાયાત હતો પણ શઠરાયે એના કબજામાંથી ધીરપુર લેઈ લીધું અને સુરસંગને ન્યાયનું દ્વાર ન જડવાથી બ્‍હારવટું લીધું હતું. ભૂપસિંહને અને સુરસંગને મૂળ સ્નેહ હતો અને ભૂપસિંહ ગાદી પર બેઠા પછી પોતાના ગ્રાસની આશા રાખી હતી. પરંતુ શઠરાય ભૂપસિંહ અને સુરસંગનો મેળાપ થવા ન દેતો. ભૂપસિંહને ખાનગી સંદેશો ગયેજ વર્ષે કહાવતાં સુરસંગને ઉત્તર મળ્યો હતો કે “તમે ધીરજ રાખો, હળવે હળવે સઉ થશે, ” આથી શાંત રહી સુરસંગે કંઈ તોફાન કર્યું ન હતું. ભૂપસિંહના મનમાં એવું હતું કે શઠરાયનો કારભાર બદલાયા પછી આ કામ કરવું. આ કારણ જાણતો ન હોવાથી સુરસંગ ધીરજ રાખી શકયો નહી અને શઠરાયનાજ તરફથી સંદેશો આવતાં લુટફાટ કરવા મંડ્યો હતો. પણ તેના મનમાં એમ હતું કે આમ કરી ભૂપસિંહને ડરાવી બધી બાબતનો નીકાલ આણવો. કુમુદસુંદરીને પોતાનાં માણસો પાસે કેદ કરાવવી, પોતે છુટાં રહેવું, ઉપકાર કરતો હોય એમ બુદ્ધિધનને પાછી સોંપવી, અને એ ઉપકાર સંપૂર્ણ થઈ રહે તે પ્‍હેલાં બુદ્ધિધનને ઉપકારવશ તેમ જ ભીતિવશ રાખવો અને પોતાનું કામ ક્‌હાડી લેવું એવો તેના મનને ખેલ હતો. પ્રતાપ તામસી વૃત્તિવાળો અને બાપની પરવા ન કરે એવો હતો. તેની ઈચ્છામાં હાલ દેખીતું વિઘ્ન પડશે તો તે વિવાહનું વર્ષી કરી બેસશે એમ પણ હતું. બે દીકરા શાંત રહે એવો માર્ગ તેણે શોધ્યો. તેણે બેની વાત ઉડાવી અને પાસે બેઠેલા વૃદ્ધોને પુછવા લાગ્યો:

“કહો ભીમજી, તમે શા સમાચાર આણ્યા ? ચંદનદાસ, તમે પણ તમારી હકીકત બોલો. ”