પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪

સળગાવેલા રસદીપથી, શૃંગારવયની પરિપકવ અવસ્થા પામવાને લીધે, શિષ્યાને સમય અને શય્યાનું સ્થાન એ ઉભયના કરેલા ઉદ્દીપનથી, અને અંતે ઈશ્વરપ્રસાદથી, પતિમુખમાંથી નિત્ય પડતા ગાનસ્વરોમાં આજ જ નવો જીવ આવ્યો હોય અથવા તે પોતેજ અહુણાં નવી જન્મી હોય તેમ પતિએ ગાયેલી કવિતાનો ઉપભેાગ ગુણસુંદરીને એકદમ અચિન્તયે થયો, તેનું મુખ મલકાઈ ગયું, રોમોત્કમ્પ થયો; નેત્ર વિકાસ પામ્યાં, અંતર્માં વળી રહ્યાં, અને અંતે સ્નેહના ઉલ્લાસને બળે પતિનેત્ર સામું અનિમિષ જોઈ રહ્યાં. જાતે ચળકતાં અને ચન્દ્રિકથી પ્રકાશિત થયેલાં એ સ્ત્રીનેત્રની કાળી કીકિયોની વચ્ચોવચ પોતાના આકારનું પ્રતિબિમ્બ પડેલું હતું તેના ઉપર સ્નેહસમાધિસ્થ વિદ્યાચતુરની દૃષ્ટિ પડી. પત્નીની ન્હાની કીકિયોમાં પોતે ન્હાને રૂપે સંક્રાત થયો જોઈ– “આજ ત્હારા હૃદયમાં પણ હું ન્હાને રૂપે – કવિતારૂપે – સંક્રાત થયો છું, અને ત્હારી કીકિયોની પેઠે – ત્હારા સર્વાંગ પેઠે ત્હારું હૃદય પણ અનિમિષ બની મ્હારા પ્રતિબિમ્બનું ધારણ કરે છે ” એવું સૂચવતો હોય તેમ પતિ પણ ગમ્ભીર આનન્દમય વદનથી પત્ની સામું જોઈ રહ્યો. માનસિક સ્નેહનો આજ પ્રથમજ ઉભયને અનુભવ થયો. નવો ગર્ભ ધરનારીની પેઠે પત્નીએ બીજો દિવસ પ્રફુલ્લ વિચારમાં ગાળ્યો અને અંતે અભણ અવસ્થામાં ગરબીઓ રચનારીએ આજની અવસ્થાએ પહોંચી પતિના શ્લોકના પ્રતિધ્વનિરૂપ–પ્રત્યુત્તરરૂપ–નવી કવિતા વાલ્મીકિની પેઠે ઈશ્વરપ્રેરણાથી રચી ક્‌હાડી પાછો રાત્રિએ એજ પ્રસંગ આવતાં શુદ્ધ- સ્નેહના નવા ચાખેલા રસના લોલુપ વિલાસી પતિએ એજ શ્લોક ફરી ગાયા – એજ હૃદયસંયોગ ફરી ભોગવ્યો; પણ ગઈ કાલનાથી આજ અધિક અનુભવ મળવા વારો આવ્યો. મુગ્ધજેવી પત્ની પતિઉત્સાહને પ્રતિધ્વનિ કરવા ધૃષ્ટ બની.[૧] પતિએ ગાયેલા ગાનને અંતે થયેલું તારાલગ્ન દૃઢતર કરી, ઉદયમાન ચંદ્રકલા પોતાના કર સામા ઉભેલા અને નવા તેજથી ચલકતા મેઘ ઉપર ટેકવે તેમ પતિના સ્કન્ધ ઉપર સુકુમાર અને ગૌર કર ટેકવી, ચન્દ્રતેજના સ્પર્શથી ચંદ્રકાંત રસ ઝરવા લાગતો હોય, પતિના સ્પર્શે પોતે જ શુંગાર ઝરવા લાગી હોય, તેમ નવરસિક લલના પોતાની નવી કવિતા એકદમ આરંભી ધીમા મૃદુ


  1. अन्यदा भूषणं पुंसां क्षमा लज्जेव योषिताम् ।
    पराक्रमः परिभवे वैयात्यं सुरतेष्विव ॥ माघ -
             (તે પરથી સૂચિત)