પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪

“બળી એ ભવાઇ ! પણ આજ આ બધું શું થયું? તમને ખબર હશે.”

આના ઉત્તરમાં હા કહી સુંદરગૌરીએ સર્વ વાત ક્‌હેવા માંડી. જરાશકર મામાને ત્યાં સઉ જમવા ગયાં ત્યારે તેણે માનચતુરને ઘરના સમાચાર પુછયા. ઘરમાં સુતો સુતો માંદો ડોસો નિત્ય ઘરનો તાલ જોયા કરતો હતો, ગુણસુંદરી પાસે સઉ વાતો કરતાં તે પણ થોડી ઘણી સાંભળી શકતો, અને ઘરનાં સઉ માણસપર એને કંટાળો આવ્યો હતો. એ ક્રોધ ડેાશી ઉપર ક્‌હાડયો અને ભાઇ બ્હેનને ધમકાવશે જાણી માનચતુરે જરાશંકર પાસે ધર્મલક્ષ્મીના વાંક ઉપરા ઉપરી ક્‌હાડવા માંડ્યા. તે પ્રસંગે સર્વ કુટુંબ બેઠેલું હતું અને તેમના સર્વના દેખતાં પોતાના ભાઇ પાસે આટલા ઘડપણને વખતે પતિને મુખે પોતાના ખરા ખોટા દોષ નીકળે તે ડોશીથી ખમાય નહી એ સ્વાભાવિક હતું. હું પતિનું કહ્યું નથી માનતી અને મ્હારા ઉપર પતિને સંતોષ નથી એવું ભાઇ ધારશે જાણી બહેનને સવિશેષ દુઃખ થયું. ગુણસુંદરીવિના ઘરનાં બીજાં સર્વ માણસનો દોષ ડોસાએ ક્‌હાડ્યો તેથી ડોશીના મનમાં એમ વસી ગયું કે વહુ ડાહિલી થઇ બધાંની સાથે બધાની થઇ છાનીમાની વાતો કરતી હતી તે વાતો પાછી એણેજ ડોસાને કહી દીધી હશે. ડોશીને પાલખાનો ખપ છે ને ફલાણીને ફલાણી વાત કરવી છે એ સઉ બાબતની માહીતી ડોસાને ગુણસુંદરીથી મળી હશે જાણી એનાપર ડોસીને તિરસ્કાર થયો, અને સ્ત્રીમંડળ એકલું પડ્યું તે વખતે ડોસીએ પોતાની દીકરીઓને મ્હોંયે ન્હાની વહુ બાબત આ હકીકતની ફરીયાદ કરી અને આવેશમાં ને આવેશમાં બોલી જવાયું કે “ખરી વાત, દીકરાનું કમાયલું ખાઇયે પણ તે વહુને જ હાથે કની ? ઘડપણ ઓશિયાળું થયું ત્યારે વહુરોના ટુમ્બા ખાવા પણ પડે. હોય, એમાં એ શું કરે ? આપણાં બધાંનો ભાર એમને વેઠવો પડે તે શાં વ્હાલાં લાગિયે ?” ડોશીને આ પ્રમાણે ઓછું આવી ગયું, દીકરીઓએ વાતોમાં ટાપશી પુરી, ને માના દુ:ખમાં દીકરીઓ પણ ભાગ લેતી હોય તેમ તેમને પણ ભાભી ઉપર ખોટું લાગ્યું. ડોશીની આંખમાં આંસુ આવી ગયાં અને ચંચળ તે લ્હોતી લ્હોતી બોલી, “મા, શું કરવા અકળાય છે ? જેનો વખત હોય તેનાં ગીત ગાવાં પડે એ તો સંસારનો રસ્તો જ છે.” દુ:ખબા રોઇને બોલી “આ સઉ મ્હારે સારુ થાય છે.” જરાશંકરના ચોક આગળ પરસાળીમાં આ પ્રમાણે વાતો થતી હતી તે પરસાળમાં રાઇતાં કરવા બેઠેલી સુંદરે સાંભળ્યું હતું અને એણે સઉ