પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૩

અને તે વીશે મુળુએ સરકારમાં પુરાવો કરવો પડશે. આ પત્ર મલ્લરાજના હાથમાં મુકતાં સામંતના નેત્રમાંથી અશ્રુધારા ચાલી અને તે બોલ્યોઃ

“મહારાજ, મ્હારા કુળમાં અંગાર ઉઠ્યો છે તે એક ક્ષણ પણ જીવવા યોગ્ય નથી. ગમે તો એના વધની આપ કોઈને આજ્ઞા કરો અને તેમ કરવામાં આપ આંચકો ખાતા હો તો મને આજ્ઞા કરો એટલે એ દુષ્ટનું માથું લાવી આપના ચરણ પાસે મુકું. રત્નનગરીમાં આવો કુલાંગાર સાંભળ્યો કે દીઠો નથી.”

સામંતની આંખ દુ:ખ અને ક્રોધથી રાતી થઈ ગઈ અને તેનું વૃદ્ધ થતું શરીર કંપવા લાગ્યું.

જરાશંકર બોલ્યોઃ “મહારાજ, સામંતભાએ આજ અત્યંત રાજભક્તિનું દૃષ્ટાંત બતાવી આપ્યું છે તેના બદલામાં એમની વૃદ્ધાવસ્થામાં એમને આ શિક્ષા કરવી ઘટતી નથી. વળી મુળુભા ઉપર આ પત્ર આવ્યો એટલા ઉપરથી એ પત્રના લેખ વીશે તેને માથે આરોપ મુકવા યોગ્ય નથી.”

મલ્લરાજ સ્મિત કરતો કરતો બોલ્યો : “જરાશંકર, વિદ્યાચતુરે પેલો શ્લોક કહ્યો હતો તે બોલ અને સામંતને સમજાવ.”

જરાશંકર બોલવા લાગ્યો.

“સામંતભા, આ શ્લોકમાં એક સમર્થ પુરુષ ક્‌હેછે કે આકાશ ને પૃથ્વી ભળે છે ત્યાં આગળ મદ ધરનાર મ્હોટા ઉન્મત્ત હાથીઓ ગાજી રહ્યા છે, આણી પાસ હાથણો ઉભી છે પણ તે સ્ત્રીજાતિ હોવાથી દયાને પાત્ર છે - તેની સાથે યુદ્ધ યોગ્ય નથી, અને છેક પાસે મૃગલાં ઉભાં છે તે કાંઈ સમાન–શીલ નથી, તો વનરાજ સિંહ એમાંથી પોતાના તીવ્ર નખનું પાણ્ડિત્ય કોના ઉપર બતાવે ? આ હું કહું છું એ શ્લોકનો સાર છે :–

“दिगन्ते श्रूयते मदमलिनगण्डाः करटिनः
"करिण्य कारुण्यास्पद्मसशीलाः खलु मृगाः ।
"इदानीं लोकेऽस्मिन्ननुपमशिखानां पुनरयम्
"नखानां पाण्डित्यं प्रकटयतु कस्मिन् मृगपतिः ॥"*[૧]

  1. * ભામિનીવિલાસ.