પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૫.
નવરાત્રિ.
किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ॥

મધુरी આકૃતિને જે અડકે તે તેના શૃંગારરૂપ થઈ જાય છે

કાલિદાસ
विश्रम्य विश्रम्य तटद्रुमाणाम्
छायासु तन्वी विचचार काचित
स्तनोत्तरीयेण करोद्धृतेन
निवारयन्ती शशिनो मयूखान् ॥
શૃંગારશતક - ભર્તૃહરિ

નવીનરૂપ ભાષાંતર – “કોઈ એક સુંદરી, નદીના તટ ઉપર ઝાડે ઝાડે તેની છાયામાં વીસામો લેતી લેતી ચાલતી જાય છે, અને દૂર આકાશમાં ચંદ્રનાં કિરણ પોતાનાં હૃદયભણી આવે છે તે હૃદયમાં પેંસતાં અટકી શકે એવું હોય તેમ, પોતે પ્હેરેલા સૂક્ષ્મ વસ્ત્રનો જે છેડો એ કિરણ અને એ પોતાની છાતી વચ્ચે છૂટો હતો તે છેડાને હાથવડે ઉંચો કરી કરી, ચંદ્રનાં એ કિરણને છાતી આગળથી દૂર કરવા પ્રયત્ન કરતી જાય છે!”

દુલારી મધુરી મ્હારી દુલારી ! - દેખ દેખ યહ મૈયાકા ખેલ”– એવું બોલતી બોલતી બેટની બાવી ઝુંપડી બહાર આવી અને ચૈત્રમાસને સાયંકાળે સમુદ્રના સામું જોતી માતાના ઓટલા ઉપર બેઠેલી બાળાને પાછળથી બાઝી પડી અને નીચી વળી ચુમ્બન કરી એની સુન્દર આંખો સામું જોઈ રહી.

"ચંદ્રાવલી બ્હેન? હું માજીનું ઘણું ધ્યાન ધરું છું, પણ હૃદયનો પુરુષ હૃદયમાંથી ખસતો નથી.” ન્હાના કરપલ્લવવડે આંખનાં આંસુ લ્હોતી લ્હોતી બાળા બોલી અને સમુદ્ર સામું જોઈ રહી.

“બેમાંથી કયો પુરુષ ખસતો નથી?” જોડે બેસી ચંદ્રાવલી પુછવા લાગી.

“જે પુરુષની સાથે સંસ્કારથી હું ચોરીમાં જોડાઈ હતી તે પુરુષ તો મ્હારા મરણ–ભાનથી સુખી થશે. એટલો મને માજીના ધામમાં આવવાથી જંપ છે. પણ જે મહાત્મા મને પોતાના સંસારમાંથી છુટી કરી