પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬


છો. જે સંસારની કડાકુટો આપણને ગભરાવે છે તેનો એમણે પરણ્યા પ્હેલાં જ ત્યાગ કર્યો. આપણી પશ્ચિમ બુદ્ધિ થઈ તે પરણીને પસ્તાયાં અને એમણે આગળ બુદ્ધિ વાપરી તે સુખી થયા; પણ એમનો દોષ એ કે એકલપેટા થઈ એમણે પોતાનો સ્વાર્થ વિચાર્યો અને બીચારાં કુમુદસુંદરીનો ન વિચાર્યો. આપણે ઘરનું દુઃખ વેઠીએ છીયે ને ગજા પ્રમાણે એક બીજાને સુખી કરીયે છીયે તો એમનાથી કુમુદસુંદરી કેવાં સુખી થાત ? લક્ષ્મીનંદનના બોલ સામું એમણે જોયું, પણ અનુભવ નહી તેથી એમ ન સમજ્યા કે મ્હોડે બોલે એટલું મનમાં હતું નથી ને ઘડીનો ઉભરો જન્મારે પ્હોચતો નથી. સાંભળ્યા પ્રમાણે લક્ષ્મીનંદન બહુ પસ્તાય છે, અને એમનું શું થશે તે ખબર નથી. સરસ્વતીચંદ્ર ઘેર આવશે તો સંસારમાં પડી જાતે દુ:ખી થશે એમાં વાંધો નથી, પણ બીજાં સઉને સુખી કરશે. રામસીતાને દુ:ખ પડ્યું તો રાવણ મુઓ અને જગતનું કલ્યાણ થયું, માટે મ્હારે સરસ્વતીચંદ્રને ઘેર આણી દુઃખી કરવા છે ને સંસારને સુખીયે કરવો છે – માટે – મ્હારી લાડકી ગંગા ! ત્હારું કહ્યું કરીશ ને ચંદ્રને લીધા વિના ચંદ્રકાંત પાછો ઘેર આવવાનો નથી. એ બે જણ આવે ત્યાં સુધી આપણા ઘરમાં જાદવાસ્થળી કરવી કે દ્વારામતીનું સુખ કરવું એ તમારી મરજીની વાત છે. તને “તમે” લખું છું તે વાંચી તું ખીજવાઈશ, ઘરનાં કોઈ જાણશે તે મ્હોં મરડશે, અને બ્હારનું કોઈ જાણશે તો હસશે, પણ એવું જોવાની તો મને ટેવ પડી છે તે ગંગાને ખબર છે. કાગળ પેટ ભરાય એટલો લાંબો લખ્યો છે કે મુંબાઈ આવીને મ્હેણું સાંભળવું ન પડે.”

ટાંચણ પુરું થયું અને વાંચનારે દીર્ઘ નિઃશ્વાસ મુક્યો. પિતાને દુઃખ થાય છે તે માન્યું નહી પણ પિતા ઉપરનો સ્નેહ નેત્રમાં આંસું વહાવવા લાગ્યો.

“ સુખી શાને નહી પિતા ?
“ હવે શાની કરે ચિન્તા ? ”

પૃથ્વી ઉપર ધુંટણે પડ્યો અને આકાશ સામા હાથ જોડી ઉંચું જોઈ સજળનેત્ર દાનમુખે ગાવા લાગ્યો.

“પિતા તું એક છે સન્ધે ! “જગતને બાંધ્યું ત્હેં બન્ધે