પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨


મોહની – તો સમજ કે ત્હારો વિવાહ આ વિધાનમાં નથી, પણ સંકલ્પમાં અને સંકલ્પની પ્રતિજ્ઞામાં છે.

કુમુદ - હા, પણ પિતાએ મ્હારા દાનનો સંકલ્પ કર્યો અને પ્રતિજ્ઞા લેવડાવી.

મોહની – હા,પણ સંકલ્પ કરનાર અને પ્રતિજ્ઞા કરનાર એક કે જુદાં? ત્હારા પિતાએ સંકલ્પ કર્યો પણ પ્રતિજ્ઞા ત્હારી પાસે લેવડાવી. સત્ય જોતાં વરકન્યા જ સંકલ્પ કરે અને પ્રતિજ્ઞાઓ લે. પિતાએ બલાત્કારે કે આજ્ઞા વડે પુત્રી પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવવી એવું કોઈ શાસ્ત્રનું શાસન કે વિધાન નથી. એ તો તમારા મૂર્ખ ભ્રષ્ટ સંસારી જનોનો આચાર છે. પિતા કન્યાદાન દે તે તો શકુન્તલા જેવી આપત્તિમાંથી પુત્રીને ઉગારવાને જ સાક્ષી થાય છે; અને તેની અને તેને અભાવે ઇતર કન્યાદાનના અધિકારીઓ છે તેની આવશ્યકતા તો માત્ર ઘોડે ચ્હડનારનું પેંગડું ઝાલી રાખવાને માટે જ છે. તે ન હોય તો કન્યા જાતે સ્વયંવર કરે – વરણવિધાન વિના અને કન્યાદાન વિના વિવાહ- સિદ્ધિમાં કંઈ બાધ નથી એટલું જ નહીં; પણ ભ્રષ્ટ માતાપિતા જ્યારે દાનનો અધિકાર વાપરી અવિવાહને વિવાહ નામ આપી કન્યાઓને સંપ્રત્યયાત્મક પ્રીતિની જાળમાં નાંખે, અને એ જાળ, અલખભગવાનની કૃપાથી ત્રુટી જાય, ત્યારે તેમાંથી મુક્ત થયેલાં હૃદય, અલખ મદનને વશ થઈ પવિત્ર પરિશીલન કરી અલખપ્રીતિનો માર્ગ શોધે તો તે યોજના સુન્દર અને ધર્મ્ય છે. મધુરી, એ રમણીય ધર્મ્ય અલખ માર્ગે ત્હારું હૃદય ચ્હડ્યું છે તેને અમે અપૂર્વ સાહાય્ય આપીશું.

કુમુદ - અષ્ટવર્ષા તે ગૌરી વગેરે વાક્યોથી કન્યાવયની મર્યાદા નીમી જે પ્રતિજ્ઞાઓ શાસ્ત્ર તેની પાસે કરાવે છે, અને પિતાએ આપેલું દાન સફળ કરી સ્વામીની સેવા કરવા એ પ્રતિજ્ઞા લેવાય છે, તે નિષ્ફળ કરવાનો તમારો પ્રયત્ન અધર્મ છે ને મ્હારી પાસે તે વૃથા છે.

મોહની – વૃથા હો પણ અધર્મ્ય નથી. ત્હેં ક્‌હેલાં વાક્યો તમ સંસારી જનના કોઈક દેશકાળને ઉદ્દેશી કોઈ શાસ્ત્રકારોએ લખેલા છે તેટલા કાળ માટે તે ઉપયોગી હશે પણ તેમાં સર્વ દેશકાળને સનાતન ધર્મ નથી. એવો ધર્મ તો અમે પાળીએ છીયે તે છે. જે શાસ્ત્રો ત્હેં ક્‌હેલાં વાકય ઉચ્ચારે છે તેમાંજ બીજું પણ ક્‌હેલું છે તે સાંભળ. સંસારી જન ભ્રષ્ટ અને દુષ્ટ થઈ ગયા છે તેના વર્તનથી તો એ શાસ્ત્ર પણ વિરુદ્ધ છે. તેમાં તો રજોદર્શન પ્હેલાં જે સ્વામી વધૂનો અભિયોગ કરે તેને શિર અધોગતિ અને