પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૬

“ને તમારા કલ્યાણનો માર્ગ તે તમને દર્શાવે તો તે પણ તમે જોશો” – ચન્દ્રાવલીએ કંઈક અટકતાં અટકતાં કહ્યું.

“ઉભયનાં વિચાર ને વૃત્તિનો સમાગમ દૈવ કરાવશે તેવો કરીશ.” સરસ્વતીચંદ્ર બોલ્યો.

"સાધુજન, તમારું કલ્યાણ થજો. હું તમારી પવિત્ર સેવામાં કોઈ રીતે કામ લાગું એવું કંઈ ક્‌હેવાનું બાકી છે?”

સર૦– “મ્હારે કોઈને કંઈ પણ આ વિષયમાં ક્‌હેવાનું થશે તો તે આપને જ ક્‌હેવાનું થશે.

[૧]आश्वासस्नेहभक्तिनां त्वमेवालम्बनं महत् ।
प्रकृष्टस्येव धर्मस्य प्रसादो मूर्तिसञ्चरः ॥

આપે મને પ્રકૃષ્ટ ધર્મનું તારતમ્ય સૂક્ષ્મ ભેદ કરી શીખવ્યું છે. આજ સુધી મ્હારી બુદ્ધિ અસંતુષ્ટ ર્‌હેતી અને હૃદય તપ્ત ર્‌હેતું તેને આપે અતિ વત્સલતાથી તૃપ્તિ અને શક્તિના માર્ગનું દિગ્દર્શન કરાવ્યું છે. જે વસ્તુ હું ગુરુજીને પુછી શકત નહી અને જે મને ક્‌હેવામાં વિહારપુરીજી સંકોચ પામતુ તે વસ્તુનું આપે મને જ્ઞાન આપ્યું છે અને અંતે જે અનાથ હૃદયનો મ્હેં વિનાકારણ ક્ષોભ કરેલો છે તેને શાન્તિ આપવામાં આપનું જ સાહાય્ય છે એ મ્હારાં સર્વે કલ્યાણ કરતાં ગુરુતર કલ્યાણ કર્યું છે. આપે મને અને મ્હારા આશ્વાસ્ય જનને પરમ આશ્વાસન આપ્યું છે. આપના હૃદયમાં ઉભય ઉપર ગુરુ પ્રીતિ સ્ફુરે છે અને આપનાં સુપ્રસિદ્ધ વ્રત છોડવી આ પ્રતિકૂળ પ્રવૃત્તિમાં આપને પ્રેરે છે. પરમ અલક્ષય અને તેની લક્ષ્ય વિભૂતિ ઉભયની આ આપ ભક્તિસાધના કરો છો. આપ આથી સૂક્ષ્મ ધર્મના પ્રસાદરૂપ ભાસો છો તેવાં જ સૂક્ષ્મતમ રસના પ્રસાદરૂપ છો.

[૨]प्रीतिवैराग्यविद्यानां त्वमेवालम्बनं महत् ।
प्रकृष्टस्य रसस्येव प्रसादो मूर्तिसञ्चरः ॥

  1. ૧. દુ:ખી જન ઉપરના અનુરાગ તે આશ્વાસન, વયમાં અને જ્ઞાનાદિમાંબાળક ઉપર તેમ સમાન જન ઉપરનો અનુરાગ તે સનેહ; અને પૂજયજનઉપરનો અનુરાગ તે ભકિતઃ– એ ત્રણ વસ્તુનો તું જ મ્હોટો આધાર છે.પ્રકૃષ્ટ એટલે પ્રકર્ષવાન્ ધર્મનું મૂળ કારણ આ ત્રણ અનુરાગ છે તે કારણોનો મ્હોટો આધાર તું જ છે - તેને કાર્યભૂત પ્રકૃષ્ટ ધર્મના પ્રસાદનીમૂર્તિ પણ તું જ જાણે હોય એવી તું છે, એ ધર્મના પ્રસાદનો કારણરૂપે તેમકાર્યરૂપે સાક્ષાત્કાર તું જ કરાવે છે. ( ઉત્તરરામ ઉપરથી )
  2. ૨. પ્રીતિ, વૈરાગ્ય, અને વિદ્યાને મ્હોટો આધાર તુંજ છે – જાણે કે પ્રકૃષ્ટ૨સના પ્રસાદની મૂર્તિ તુંજ છે.