સર૦- “તમને એ અધિકાર નહી આપું બીજા કેાને આપીશ ?
મને મ્હારા સ્વાર્થને તો શું પણ મ્હારા ધર્મનો પણ બાધ તમને સુખી
કરવામાં અંતરાયરૂપ થાય તો હું તેને ન ગણવાને તત્પર છું.
- [૧] धर्मात्ययो मे यदि कश्चिदेवम्
- जनापवादः सुखविप्लवो वा ।
- प्रत्युद्गमिष्याम्युरसा तु तत्तत्
- त्वत्सौख्यलब्धेन मनःसुखेन ॥
- [૧] धर्मात्ययो मे यदि कश्चिदेवम्
“મધુરી ! 'મધુરી' શબ્દથી મોહ કાલ થતો હોય તો આજ થાય, પણ તે નામથી જ અથવા જે કંઈ અન્ય પ્રવૃત્તિથી કે નિવૃત્તિથી તમને જે શાન્તિ થાય તેનાથી તે આપવી એ મ્હારી વાસના છે. મ્હારું સર્વસ્વ જે કાંઈ હોય તેના હવન[૨]થી પણ તમને સુખ મળે તે એજ મ્હારું સુખ છે. માટે મ્હારું સુખ સાધવાની તમારી વાસનાની તૃપ્તિ તમે પોતાની જાતને સુખી કરશો તેથી જ થશે.”
કુમુદ૦- ભલે. પણ તમે મ્હારું સુખ ઇચ્છો છો કે મ્હારું કલ્યાણ ઇચ્છો છો
સર૦- તમને સુખની ઇચ્છા હોય તો તમારું સુખ ઇચ્છું છું અને તમને કલ્યાણની ઇચ્છા હોય તો કલ્યાણ ઇચ્છું છું.
કુમુદ૦- તમારે પોતાને માટે શું ઇચ્છો છો?
સર૦- મ્હારે તો સુખ પણ નથી જોઈતું ને કલ્યાણ પણ નથી જોઈતું. મને તો શાન્તિ મળે અને મ્હારા ધર્મમાં ન ચુકું એટલું જ જોઈએ.
કુમુદ૦– તમે શાંતિમાં સુખ માનો છે ને ધર્મમાં કલ્યાણ માનો છો? ને તે બેને ઇચ્છો છો ?
સર૦- માનું છું તો તમે ક્હો છો તે જ. બાકી જ્યાં સુધી ધર્મથી શાંતિ ન મળે ત્યાં સુધી શાંતિને પણ અધર્મરૂપ ગણી તેને ઇચ્છતો નથી.
કુમુદ૦- એ શાંતિએ ધર્મરૂપ ક્યારે ગણશો?
સર૦- તમને શાંત અને તૃપ્ત જોઈશ ત્યારે.
કુમુદ૦- તમારો ધર્મ કીયો ?