પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૩૬


વૃ૦ વા૦- વાલીના ખેંચેલા તારમાંથી નીકળેલા સ્વર ત્હેં સાંભળ્યા. એ સ્વરનું તારતમ્ય તમારા અર્જુનનાં પરાક્રમથી પણ જોઈ લે. ખાંડવ વનમાં અસંખ્ય ભૂતોને જે દાવાગ્નિએ અર્જુન અને કૃષ્ણનું સાહાય્ય પામી બાળ્યાં હતાં તે જ સર્વ ભૂતનો સંહારક દાવાગ્નિ આ કાળમાં સર્વ સંસારને વીંટી લે છે. સમુદ્રના દેવ વરુણની પાસેથી અગ્નિને પ્રતાપે તમારા અર્જુનને જે રથ અને અસ્ત્ર મળ્યાં હતાં તે જ અમારા અર્જુનને એ જ વરુણ પાસેથી એ જ અગ્નિના પ્રતાપથી મળ્યાં છે, અને એવો જ દાવાગ્નિ સર્વ ભૂતોની આશપાસ સળગાવતો એવો જ રથ આ યુગમાં ફરી વળે છે. એ વરુણના આપેલા અને આ મહાસાગરો ઉપર ચાલતા આ રથની ધ્વજયષ્ટિ ઉપર અમે કપિલેાક અમારા સિંહકેતનને - British Lion ને – લેઈ બેસીયે છીયે. [૧]અમારી જોડે એ જ રથને શિરે બીજાં પ્રાણી પણ બેસે છે તે તમે જોયાં ને જોશો. ભાઈ પોપટ, ત્હારામાં ઉડવાની શકિત હોય તો ઉડીને આ રથ ઉપર બેસી જા. ત્હારો અમારો અર્જુન જુદો નથી, પણ પ્રવાસે નીકળેલો અર્જુન ત્હારા દેશને છેડી આણી પાસ આજ ફરે છે ને પંચમહાસાગર અને વચલી પૃથ્વી ઉપર એના વાયુરથનાં ચક્રો જેવાં આ અસંખ્ય સૂત્રો સર્વ દેશના વાતાવરણમાં ફરી વળે છે – તેનો ધર્મ હજી વધારે સમજવા, હોય તો ત્હારા ચિરંજીવીને પુછજે. મયૂરે તને કહ્યું તે સત્ય છે, ચકોરે ક્‌હેલું તે પણ સત્ય છે, આ વાલીએ કહેલું સત્ય છે, ને હું કહું છું તે પણ સત્ય છે. અમે પાળીયે છીયે તે ધર્મ ત્હારા દેશમાં પ્રવર્તશે તે તું આ રથની ધ્વજયષ્ટિ ઉપર બેસશે ને જો તે તેમ નહી પ્રવર્તે તો તે અને તું બે જણ અર્જુને પ્રકટાવેલા દાવાગ્નિની જ્વાલાઓમાં ભસ્મ થઈ જશો. તેમાં અમારો દોષ ક્‌હાડશો નહીં. . . અમે તો માત્ર એ રથ દોડે છે તેમ તેને માથે ખેંચાઈએ છીએ ને કલેાલ કરીયે છીયે. ત્હારે અમારા આનન્દમાં ભાગ લેવો હોય તો મ્હારા કપિલોકને તેટલા માટે જ ત્હારે ત્યાં મોકલ્યા છે–


  1. तापनीया सुरुचिरा धवजयष्टिर अनुत्तमातस्यां तु वानरॊ थिव्यः ::सिंहशार्थूललक्षणःदिधक्षन्निव तत्र स्म संस्थितो मूर्ध्न्यशोभत।ध्वजे भूतानि ::तत्रासन्विविधानि महान्ति च।।तत्रादैरिपुसैन्यानां श्रुत्वा संज्ञा प्रणश्यति ॥
    આદિપર્વ, ખાંડવ દહનપર્વ. અર્જુનને મળેલા રથનું વર્ણન.