કુમુદથી એ બનવું અશક્ય છે – એ તો તું ગંગા થઈશ તો ત્હારી યમુના
થશે, અને તું એ બેની ગંગા નહી થાય તો તું પણ પાણીનો રેલો ને કુમુદ પણ
પાણીનો રેલો ! આપણે આ રત્નાકરનાં ગંગાયમુના જેવાં થઈશું તો
ગુણીયલના સુખનો સમુદ્ર ઉભરાશે – આપણે પુત્રીઓ જ એના હૃદયને
આજ જડમૂળથી તોડી પાડીયે છીયે તો એ હૃદયરૂ૫ રત્નછત્રને ટકાવનાર
સોનાના દાંડા થઈશું ! - અને આપણા પિતા આપણે માટે સર્વસ્વનો
ત્યાગ કરવા તત્પર થયા છે તેને આપણે પરમ પ્રતિષ્ઠા આપીશું !
બાકી લક્ષ્મીનંદનની વૃદ્ધાવસ્થાના આશીર્વાદ આપણા ઉપર રેલાશે,
મ્હારા શ્વશુરને તું આટલા આશીર્વાદ દેછે તેના કુટુમ્બના કલ્યાણનાં
આપણે સાધન થઈશું, – અને એવાં અનેક સત્કાર્ય – જેને તું ન્હાનાં
ગણતી હોય તો ન્હાનાં ને મ્હોટાં ગણતી હોય તો મ્હોટાં–એ સત્કાર્યનાં
આપણે સાધક થઈશું. અને,– કુસુમ, આ સર્વે મહાફળની આપણે
ઉપેક્ષા કરીયે તો પણ જે મત્સ્યેન્દ્રનાથ જેવા મહાત્માનું ગોરખકૃત્ય કરવા
તું તત્પર થઈ છે, જે મહાત્માના પુણ્ય જીવનથી – આ તંબુના દંડથી તંબુની
આ દોરીઓ રહી છે તેમ – ટકી રહેલી મ્હારી અને સુન્દરગિરિપરના
સંસારમાંનાં સાધુજનોની આશાઓ એ મહાત્માને ટકાવી ટકી રહી છે,
તે મહાત્માના જીવનને અને તેની સાથે મ્હારી અને આ સર્વની
પવિત્ર આશાઓનાં મને રાજ્યને સફળ કે નિષ્ફળ કરવાં એ એક
કુસુમના હાથમાં છે ! તે તું નિષ્ફળ કરીશ, સ્વચ્છન્દ કુમારિકા રહી પેલી
ધુળ પેઠે આથડીશ, તો – પિતા પોતાની ઉદારતાને લીધે ને ગુણીયલ
પોતાના પતિવ્રતને લીધે તને સ્વતંત્રતા આપે છે ખરાં – પણ તેમનાં ભાગ્યની
અવદશા મ્હારે ત્હારે હાથે થયેલી જોઈ આપણે સંસારમાં સ્વચ્છન્દ અને
ક્રૂર પુત્રીઓનાં દૃષ્ટાંતરૂપ થઈશું, નવી કન્યાઓને વિદ્યા અને સ્વતંત્રતા
મળવાનો સંસાર નિષેધ ગણશે તેનાં કારણ થઈ પડીશું, એ કન્યાઓનાં
અદૃષ્ટ દુર્ભાગ્યને ઉપરથી પૃથ્વી ઉપર ઉતરી આવવાની નીસરણીયો થઈશું,
અને તેમનાં મહાપ્રયત્ને ચ્હડતાં સદ્ભાગ્યને રોકી દેવાના દાદરા થઈશું !
અને કુમુદને કપાળે તો ત્હારા વિના એકલો પડનાર આ મહાત્માનું સર્વે
સામર્થ્ય અને મનોરાજ્ય પડી ભાગ્યું જોવાનું જ બાકી ર્હેશે. હવે વધારે
ક્હેવાની મ્હારી શક્તિ નથી – ડુબાડ કે તાર, જીવાડ કે માર,- જ્યાં
સુધી સંપૂર્ણ પ્રસન્ન થઈ પ્રીતિથી એ મહાત્માને ત્હારા ગંગા જેવા
નિર્મળ હૃદયમાં સ્વીકારવા તું તત્પર થાય, ત્યાં સુધી એ મ્હારું કહ્યું
માને એમ નથી, હું એમને ઠગું એમ થવાનું નથી, તેમ જ ત્યાં સુધી આ
પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૭
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.