પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
સરદાર વલ્લભભાઈ


નહીં આવે તો જમીનો ખાલસા કરવામાં આવશે. જે આસામીઓ ઉપર નોટિસો કાઢવામાં આવી છે તેઓમાંના કેટલાક મને મળ્યા. મને તો તેઓ આબરૂદાર માણસો લાગ્યા. તેમણે પોતાના હકની તકરાર ઉઠાવી છે. તેમાંના કેટલાકની જમીનો સનંદિયા છે. હું માનું છું કે સરકારનો નિર્ણય ગમે તે હોય, પણ જેમાં ડંખ રહેલો ગણાય એવા ઇલાજ લેવાનો હેતુ તો ન જ હોઈ શકે.
“આ જ મામલતદારની એક બીજી યાદી મને બતાવવામાં આવી છે. તેમાં આબરૂદાર અને પ્રતિષ્ઠિત ખાતેદારોને માટે ‘દાંડિયા’ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ શબ્દનો અર્થ ‘લુચ્ચો, બદમાશ’ થાય એમ હું માનું છું. મારા અભિપ્રાય મુજબ યાદીની ભાષા અણછાજતી અને ખૂબ લાગણી દુખવનારી છે.”
આનો જવાબ મિ. પ્રૅટે તા. ૧૦મીએ નીચે પ્રમાણે આપ્યો:
“. . . જમીનમહેસૂલ ભરવામાં કસૂર કરનારની જવાબદારી ‘લૅન્ડ રેવન્યુ કોડ’ માં સ્પષ્ટ છે. . . . કાયદાવિરુદ્ધ કાંઈ પણ કરવામાં આવ્યું નથી, તેમ કરવામાં આવશે નહીં. છતાં કાયદા મુજબ લેવામાં આવતા ઇલાજોને તમે ડંખવાળા કેમ કહો છો એ હું સમજી શકતો નથી. . . . કપડવંજના મામલતદારની યાદી એના હાથ નીચેના કારકુને લખેલી છે. તમે મને એ યાદી બતાવશો અને એ વિષે જે વાંધા હોય તે જણાવશો.”
ઉપરના કાગળના જવાબમાં ગાંધીજીએ લખ્યું:
“આ સાથે કલેક્ટરની સહીવાળી એક નોટિસની નકલ મોકલું છું. જે ભાષાને હું અણછાજતી અને ખૂબ લાગણી દુખવનારી માનું છું તેના ઉપર નિશાન કર્યું છે. એ વાક્યથી સભાના મંત્રીઓ અને તેમની સલાહ માનનાર બંનેનું અપમાન થાય છે. ગુજરાતી ભાષામાં એ શબ્દોને જે અર્થ થાય છે તેવું લખાણ કરવાનો તેમનો ઇરાદો નહીં હોય એમ હું માનું છું.
“આ સાથે મામલતદારની યાદી પણ બીડું છું. તમે જોશો કે તેની ભાષા ઘણી વાંધાભરી છે.
“ખાલસાની નોટિસો વિષે મારે લખવું જોઈએ કે જમીનમહેસૂલની એક નજીવી રકમને માટે હજારો રૂપિયાની કીમતી જમીન ખાલસા કરવી એ કસૂરના પ્રમાણમાં બહુ વધારે પડતી સજા ગણાય અને તેથી તે ડંખીલી ગણાય.”
તા. ૧૬મીએ મિ. પ્રૅટે ટૂંકો જવાબ આપ્યો:
“યાદીઓની ભાષા વિષે તમે કડક શબ્દો વાપર્યા છે. પણ એ બધી યાદીએ તપાસતાં મને લાગે છે કે તમારી ફરિયાદ માટે કશું વાજબી કારણ નથી.”

હવે આગળ શાં પગલાં ભરવાં તેનો વિચાર કરવા સરદારને ઘેર બધા કાર્યકર્તાઓની સભા થઈ. તેમાં ગાંધીજીની દોરવણી મુજબ જિલ્લાના ગામડે ગામડે