પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૫
બારડોલી સત્યાગ્રહ


આવા હાસ્યવિનોદોથી લોકોનાં કષ્ટ સરદાર ભુલાવી દેતા હતા. તેમને રીઝવતા, હસાવતા પણ તેની સાથે મુળ મુદ્દો નજર આગળથી ખસવા દેતા નહીં. એટલે આટલો વિનોદ કરી લઈને તેને નીચેનાં ગંભીર વચનો કહ્યાં :

“હું જાણું છું કે આખો દિવસ તમારે બારણાં અડકાવીને માણસ અને ઢોર બધાંએ પુરાઈ રહેવું તમને વસમું લાગે છે. તમે તમારાં ઢોર અને મિલકત સરકારને લૂંટી જવા દેવા તૈયાર છો. પણ મારે તમને સમજપૂર્વક દુ:ખ સહન કરતાં શીખવવું છે ને તમને ઘડવા છે. તે સિવાય આ બાહોશ અને ચાલાક સરકાર સામે આપણે ન ફાવીએ. મારે તમને દેખાડવું છે કે સો રૂપિયાની નોકરી માટે જનોઈ પહેરેલા બ્રાહ્મણ હાથમાં દોરડાં ઝાલીને ખાટકીને દેવાનાં ઢોર પકડવા ફરે છે. આપણા જ માણસોને, ઊંચ વરણના લોકોને આ રાજ્યતંત્ર કેવા રાક્ષસો બનાવે છે એ તમને મારે દેખાડવું છે.”

સરકારે ઉપર જણાવેલા મનાઈહુકમ કાઢ્યા પછી કોઈ પણ બહાને કાર્યકર્તાઓને પકડવા માંડ્યા. પહેલો હાથ રવિશંકર મહારાજ ઉપર નાખ્યો. એક ગાડાવાળાને તેની ઈચ્છા વિદ્ધ સરકારી કામે વેઠે લઈ જવામાં આવતો હતો. મહારાજે તેને સમજાવ્યો કે તું ડરીશ નહીં અને તારી જવાની ઈચ્છા ન હોય તો જઈશ નહીં. પોલીસવાળા ગાડામાં ચઢી જઈ જબરદસ્તી કરવા લાગ્યા એટલે મહારાજે કહ્યું કે ગાડું પડતું મૂકી મારી સાથે ચાલી આવ. આ જોઈ બીજા બે ગાડાંવાળા હિંમત કરી ત્યાંથી ચાલી ગયા. મહારાજને આ ગુના બદલ તેમને પાંચ મહિના દસ દિવસની સખ્ત કેદની સજા થઈ. ગાંધીજીએ તા. ૩૦-૪–’૨૮ ના રોજ રવિશંકર મહારાજને વધામણીનો કાગળ લખ્યો :

“તમે નસીબદાર છો. જે ખાવાનું મળે તેથી સંતુષ્ટ, ટાઢતડકો સરખાં, ચીથરાં મળે તો ઢંકાઓ ને હવે જેલમાં જવાનું સદ્‌ભાગ્ય તમને પહેલું. જો ઈશ્વર અદલાબદલી કરવા દે ને તમે ઉદાર થઈ જાઓ તો તમારી સાથે જરૂર અદલાબદલી કરું. તમારો ને દેશનો જય હો.”

સરદારે ભાષણમાં કહ્યું :

“હજારો બારૈયા પાટણવાડિયાનાં જીવન સુધારનાર, મારા કરતાં ઘણા વધારે પવિત્ર, એ ઋષિને પકડીને સરકાર માનતી હશે કે મારી પાંખ કપાઈ જશે. સરકાર મારી પાંખો કાપવા માગે છે પણ મારે પાંખો ઘણી છે. સરકારને ન્યાય ન કરવો હોય તો મને પકડ્યે જ છૂટકો છે. હું સરકારને જણાવું છું કે મારી પાંખો તો જેમ વરસાદમાં ઘાસ ફૂટી નીકળે છે તેમ નવી ને નવી ફૂટતી જવાની છે.”

પછી ભાઈ ચિનાઈને મામલતદારને કામમાં અટકાયત કરવા માટે અને વેઠિયાઓને ધમકી આપવા માટે એમ બે આરોપ મૂકી પકડવામાં આવ્યા