પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.



નિવેદન

હિંદમાં બ્રિટિશ હકૂમત શરૂ થયા પછી ૧૮૫૭ની સાલમાં તેની સામે લગભગ હિંદવ્યાપી કહી શકાય એવો પહેલો બળવો થયો. બ્રિટિશ અમલ ચલાવનારાઓએ તેને દાબી દીધો એટલું જ નહીં, હિંદમાં સ્થપાયેલા પોતાના અમલની સામે ફરી પડકાર થાય એવી સ્થિતિ સુધ્ધાં આપણે રહેવા દીધી નથી એમ એમણે નિરાંત અનુભવવા માંડી. પરંતુ કોઈ પણ પ્રજાની સ્વતંત્રતાની ઝંખના દાબી દબાતી નથી એ સત્યના પુરાવારૂપે ત્યાર પછી માત્ર દોઢ કે બે પેઢીના ગાળા બાદ ૧૮૮૫ની સાલમાં હિંદી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કૉંગ્રેસની સ્થાપના થઈ. કૉંગ્રેસે પોતાની કારકિર્દીના આરંભથી જ પ્રજાની રાષ્ટ્રીયતાની ભાવનાને જગાડવાનું ને કેળવવાનું કામ શરૂ કર્યું. ત્યાર પછીના ઇતિહાસનું નિરીક્ષણ કરનાર સૌ કોઈ કબૂલ કરશે કે એ જાગૃતિ અને રાષ્ટ્રીયતાની ભાવનાની કેળવણીના ફળરૂપે આખરે આ દેશ પરથી પરદેશી હકૂમત ઊઠી ગઈ.

એ જ ઇતિહાસનું નિરીક્ષણ કરનારને બીજી એક હકીકત પણ ધ્યાનમાં આવ્યા વગર રહે એવી નથી. ગઈ સદીની આખરનાં પંદર અને ચાલુ સદીની શરૂઆતનાં બીજાં પંદર મળીને ત્રીસ વર્ષના ગાળા દરમિયાન થયેલા હિંદના પ્રજાજીવનના વિકાસની ગતિ અને પ્રકારમાં અને ત્યાર પછીનાં ૧૯૪૭ની સાલ સુધીનાં બત્રીસ વર્ષ દરમિયાન થયેલા વિકાસની ઝડપ અને પ્રકારમાં મોટો અને મૂળભૂત ફેરફાર દેખાઈ આવે છે. ૧૯૧૫ના આરંભમાં ગાંધીજીએ હિંદના રાષ્ટ્રીય જીવનમાં પ્રવેશ કરી અહીં સત્યાગ્રહની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવા માંડી તેથી એ મોટો ફેરફાર થવા પામ્યો હતો.

આખા હિંદની વાત જવા દઈ અહીં ઘરઆંગણે ગુજરાતની વાત લઈએ તો એ ફેર વધારે સ્પષ્ટતાથી જોવાનો મળે છે. એક તો ગાંધીજીએ પોતાના વસવાટના સ્થાન માટે અમદાવાદને પસંદ કર્યું અને બીજું, ગુજરાતની ભૂમિને સત્યાગ્રહની કાયપદ્ધતિના અમલને માટે પસંદગી આપી ગુજરાતની પ્રજાને સત્યાગ્રહને માર્ગે વાળી તેથી એ ફરક ઉપર ઉપરથી જોનારને પણ અહીં વરતાયા વિના રહેતો નથી.