પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૫૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૩
૧૯૨૯નું તૈયારીનું વર્ષ


આ પરિષદ ભરાવાની તો હતી નાશિકમાં, પણ તે વખતે ત્યાં પ્લેગ ચાલ્યો એટલે ઉપનગર જિલ્લાના શ્રી જયસુખલાલ મહેતા, શ્રી. ગોકુળભાઈ ભટ્ટ, શ્રી વાંદરેકર વગેરેના પ્રયાસથી પરિષદના સ્થળ તરીકે વાંદરાની પસંદગી કરવામાં આવી. સરદારને આ કંઈક અનુકૂળ થયું કારણ વાંદરા એટલે મહારાષ્ટ્ર–ગુજરાતનું સંગમસ્થાન ગણાય. ચાલતા આવેલા રિવાજ પ્રમાણે સરદાર પોતાનું ભાષણ અંગ્રેજીમાં લખી ગયા હતા અને જમીનમહેસૂલની નીતિ તે વખતનો સળગતો પ્રશ્ન હોઈ તેના ઉપર સરદારે ખૂબ વિસ્તાર કર્યો હતો. જમીન–મહેસૂલના વધારા સામે મહારાષ્ટ્રમાં હિલચાલ તો ઊપડી હતી પણ સરકાર સામે કેવી રીતે લડત ચલાવવી એ સંબંધે ત્યાંના પંડિતો જે યોજનાઓ કરતા હતા તે બહુ અવહેવારુ હતી. તેના ઉપર ટીકા કરતાં સરદારે પોતાના લેખી ભાષણમાં કહ્યું :

“સરકારે ઠરાવેલા ધારામાંથી એક રૂપિયો ઓછો ભરાયો અથવા વધારા પૂરતી રકમ ન ભરવી, એવી સલાહ રૈયતને આપવાનું વલણ તમારા પ્રાંતમાં જણાય છે. આવી સલાહના મૂળમાં બધું મહેસૂલ ન આપવાથી રૈયતને જે નુકસાન અને કષ્ટ ઉઠાવવું પડે છે તે ગરીબ રૈયતને ન ઉઠાવવું પડે એ જ ઉદ્દેશ હોય એમ લાગે છે. પણ આ સલાહમાં એક ગેરલાભ તો એ રહેલો છે કે તમે ખરેખર લડવા ઇચ્છો છો એમ માનવાને જ કોઈ તૈયાર નથી થતું, અને આખરે તે સંતાકૂકડીની રમત જેવું થઈ જાય છે. જો આખી આકારણી અન્યાયી હોય તો વધારો જ અન્યાયી છે એમ કેવી રીતે કહેવાય ? વધારા સાથેનું આખું મહેસૂલ અન્યાયી છે એટલે આખું મહેસૂલ ન આપવું એ જ સયુક્તિક કહેવાય અને એ જ અસરકારક પણ થઈ પડે. હું નમ્રતાપૂર્વક સૂચવું છું કે આવી લડતોમાં આર્થિક નુકસાનનો વિચાર જ ન કરાય. આપણા રાંક અને ગુલામડા જેવા બની ગયેલા ખેડૂતોને મર્દ બનાવવા હોય તો તેમનામાં સ્વેચ્છાપૂર્વક ભોગ આપવાની અને કષ્ટ સહન કરવાની શક્તિ કેળવવી જોઈએ.”

અનેક તાલુકાઓમાં સૂચવાઈ રહેલા મહેસૂલના વધારા કેવા આપખુદ છે એ વિષે તેમણે કહ્યું :

“ધારાસભાના બબ્બે ઠરાવ થયા હતાં અનેક તાલુકાઓમાં વધારા થયે જ જાય છે. મહેસૂલની આંકણી કેવી રીતે કરવી તે ઠરાવવા માટે એક કમિટી નિમાઈ હતી. પણ તે કમિટીની બહુમતીની ભલામણોને સરકાર ઘોળીને પી ગઈ અને રેવન્યુ ખાતાની એક ચંડાળ ચોકડીની સૂચનાઓ સરકારે સ્વીકારી. મહેસૂલની બાબતમાં રૈયત જરાયે હાથ નાખે એ જ આ ચોકડીને ખટકે છે. એ લોકોનાં કારસ્તાનની સામે આપણે બરાબર ઝૂઝવું જોઈએ અને એમની ખો ભુલાવવી જોઈએ.”