પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાસ ગામે સરદારની ધરપકડ

રેગ્યુલેશન રદ કરવો અને જે હિંદીઓ દેશનિકાલ થયેલા હોય તેમને દેશમાં પાછા ફરવાની છૂટ આપવી.

૧૦. છૂપી પોલીસખાતું રદ્દ કરવું અથવા તેને લોકતંત્રને આધીન બનાવવું.
૧૧. આત્મરક્ષણ માટે હથિયારો વાપરવાના પરવાના લોકતંત્રના અંકુશને આધીન રહીને આપવા.

ઉપરના અગિયાર મુદ્દામાં ગાંધીજીને સ્વરાજનો સાર મોટે ભાગે આવી જતો લાગતો હતો. પણ આ બાબતમાં કશો સંતોષકારક જવાબ મળ્યો નહીં. એટલે કૉંગ્રેસને લાગ્યું કે લડત ઉપાડ્યા સિવાય છૂટકો નથી.

કૉંગ્રેસની કારોબારીએ લડતનાં તમામ સૂત્રો ગાંધીજીને સોંપી દીધાં. ભંગ માટે કયો કાયદો પસંદ કરવો એનો ગાંધીજી વિચાર કરવા લાગ્યા. ‘આ લડત ક્યારે ચલાવવી અને કેવી રીતે ચલાવવી એના નિર્ણય ઉપર આવતાં, સ્ત્રીને જેવી પ્રસૂતિની વેદના થાય એવી વેદના હું અનુભવી રહ્યો છું.’ એમ ગાંધીજી ઘણી વાર કહેતા. તેમને એ પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો કે ૧૯૨૨માં દેશના એક ખૂણામાં કેટલાક અસહકારી ગણાતા લોકોએ તોફાને ચડી ખુનામરકી કરી અને તેથી લડત મોકૂફ રાખવી પડી, તેમ જો ફરી વાર પણ થાય, તો અહિંસક શસ્ત્રના પ્રયોગનો અવકાશ જ ન રહે. એટલે આ વખતે ગાંધીજીએ પોતાના વિચારોમાં એક પગલું આગળ ભર્યું. તેઓ એ નિર્ણય ઉપર આવ્યા કે, ‘આટલાં વર્ષો અહિંસાની તાલીમ લોકોને આપી છે અને હજી પણ હિંસા ન થાય એને માટે પૂરેપૂરી કાળજી આપણે રાખીશું, તેમ છતાં જેણે સત્યાગ્રહની પ્રતિજ્ઞા ઉપર સહી નથી કરી એવા કોઈ માણસો દેશમાં કોઈ જગ્યાએ હિંસા કરી બેસે તેથી દેશની લડત અટકવી જોઈએ નહીં.’

તા. ૯-૨-’૩૦ના ‘નવજીવન’ ના અગ્રલેખમાં તેમણે સરકારની અતિશય વ્યાપક અને ઘોર હિંસાનું વિગતવાર વર્ણન કરીને લખ્યું :

“આવી ઘોર હિંસાની સામે થવાની શક્તિ આપણે મેળવવી રહી. તે શક્તિ મેળવતાં અને તેનો ઉપયોગ કરતાં રખેને હિંદુસ્તાનમાં અશાંતિ ફેલાઈ જશે, અંધાધૂંધી વ્યાપી જશે, એવો ડર બતાવવામાં આવે છે. પણ આ વ્યાપક હિંસાની આગમાં પડેલા આપણને બીજી કઈ હિંસાનો ડર લાગવો જોઈએ ? અથવા કઈ હિંસાનું જોખમ વધારેપડતું લાગવું જોઈએ ? ભૈરવજપને આરે બેઠેલા માણસને બીજા કયા ભયની પરવા હોઈ શકે ? તેથી જેઓ અહિંસાને વરેલા છે તેમનો માર્ગ સીધો છે એમ મને લાગે છે. તેમને ચૂપ બેસી રહેવા સિવાય બીજો કઈ રસ્તો સૂઝે નહીં તો તેમની અહિંસા લજવાય, અને કદાચ એ અહિંસા ન હોય, પણ તેની (વિકૃત) અતિશયતા (એટલે) નામર્દી હોય. હિંદુસ્તાનમાં અહિંસાને એક જ અંતિમ ઉપાય માનનારા માણસોનું દળ ખરેખર હોય તો તેમણે આ સમયે પોતાના શસ્ત્રનો ઉપયોગ કરી ઘોર હિંસાનો કાં તો પરાજય કરવો કાં તો લડતાં લડતાં ખપી જવું એ તેમનો ધર્મ છે.”